
આર. કે. દેસાઈ અચ્છારીવાલા કોલેજ ઓફ કમ્પ્યુટર એન્ડ એપ્લાઇડ સાયન્સિસ (બી.સી.એ.), વાપી દ્વારા સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવતા ગુજરાતના પૂરગ્રસ્ત પરિવારોની સહાય માટે રાશન કિટનું દાન કરવામાં આવ્યું હતું. કોલેજના મેનેજમેન્ટ, પ્રિન્સિપાલ, પ્રાધ્યાપકો, તેમજ વિદ્યાર્થીઓના સહયોગથી આ સેવાકીય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાજેતરના ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત પરિવારોને આવશ્યક જીવનજરૂરી ચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે હેતુથી અનાજ, દાળ, ચોખા, ઘઉંનો લોટ, તેલ, ખાંડ, મીઠું તેમજ અન્ય આવશ્યક સામગ્રી ધરાવતી રાશન કિટ તૈયાર કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. મિત્તલ શાહે જણાવ્યું હતું કે, “શિક્ષણની સાથે વિદ્યાર્થીઓમાં સામાજિક સંવેદના, કરુણા અને માનવસેવાના મૂલ્યોનો વિકાસ કરવો એ અમારી સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય છે. કુદરતી આફતના સમયમાં જરૂરિયાતમંદોની મદદ કરવી એ આપણી સૌની નૈતિક ફરજ છે.”
કાર્યક્રમમાં કોલેજના ચેરમેન શ્રી મિલન દેસાઈ, પ્રિન્સિપલ ડો. મિત્તલ શાહ , બી.સી.એ. વિભાગના HOD શ્રીમતી નેહા પટેલ, પ્રાધ્યાપકો તથા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ઉપસ્થિત સૌએ પૂરગ્રસ્ત પરિવારો ઝડપથી સામાન્ય જીવન તરફ પરત ફરે અને તેમના જીવનમાં ફરી સુખ-શાંતિ સ્થાપિત થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.




