
વૈશ્વિક સ્વાધ્યાય કાર્યના પ્રવર્તક પદ્મવિભૂષણ પાંડુરંગશાસ્ત્રી આઠવલે (પૂજનીય દાદાજી) ની પ્રેરણાથી સ્વાધ્યાય પરિવારનો યુવા વર્ગ શ્રીકૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ દર વર્ષે અનોખી રીતે ઉજવે છે. ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ માત્ર મટકી ફોડીને ન ઉજવતાં તેમના વિચારો સમાજના પ્રત્યેક વ્યક્તિ સુધી પહોંચે તે માટે દાદાજીએ યુવાનોને પથનાટ્યની સંકલ્પના આપી. આજે દાદાજીના સુપુત્રી અને સ્વાધ્યાય કાર્યની ધુરા સંભાળનારા શ્રીમતી ધનશ્રી શ્રીનિવાસ તળવલકર (પૂજનીય દીદીજી) ના માર્ગદર્શનથી, પથનાટ્યના માધ્યમથી લાખો યુવાનો દેશવિદેશમાં આ વિચાર લઈને પહોંચી રહ્યાં છે. જન્માષ્ટમીની ઉજવણી માટે ભજવાઈ રહેલાં પથનાટ્યનો આ પ્રયોગ છેલ્લાં २४ વર્ષોથી નિરંતર ચાલી રહ્યો છે.

આ વર્ષે દેશભરના ૧૫ રાજ્યોમાં તેમજ ઈંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, સિંગાપોર, બેંગકોક જેવા ૧૫ થી વધુ દેશોમાં યુવાનોની અંદાજે ૧૭,૦૦૦ ટીમો એટલે કે લગભગ પોણા બે લાખ યુવાનો ‘हमने है माखन पाया’ આ પથનાટ્ય વડે સૌને વિચાર કરવા માટે પ્રવૃત્ત કરવાના છે. વિવિધ ભાષાઓમાં આ પથનાટ્ય ૨૯ ઓગસ્ટ થી ૬ સપ્ટેમ્બર ૨૦૨૬ ના દરમ્યાન રજૂ કરવામાં આવશે.વલસાડ જિલ્લામાં પણ 800 ટિમો અને 10,000 યુવાનો પથનાટ્યમાં જોડાયા છે. વિશેષ વાત એ છે કે કોઈપણ પ્રલોભનો વિના, નિરપેક્ષ રીતે પોતાનું શિક્ષણ, નોકરી, વ્યવસાય સંભાળીને અને આ બધામાંથી સમય કાઢીને આ યુવાનો પથનાટ્ય ભજવતાં હોય છે.






જીવનરૂપી હાંડીમાં રહેલું સાચું માખણ શું છે? આજે સત્તા, સંપત્તિ, રોટી અથવા હક્ક, કેવળ આના દ્વારા જ સમાજના ઉત્થાનનો પ્રયાસ થઈ રહ્યો છે, પરંતુ આ બધું અપૂર્ણ છે. ભગવાનના દૈવી માર્ગ પર ચાલીને જ, પ્રેમ અને હૃદયસ્થ ઈશ્વર સાથેના સંબંધથી જ સમાજ સાચા અર્થમાં સમૃદ્ધિ તરફ આગળ વધી શકે છે, એવો કંઈક સંદેશ આ પથનાટ્ય આપે છે. આજે દુર્ભાગ્યે જન્માષ્ટમી માત્ર દહીંહાંડીની થર, એની ઊંચાઈ, ઝગમગાટ અને તેના માટે લાખોનાં ઈનામો સુધી જ સીમિત થઈ ગઈ છે. આવા વિપરીત સમયમાં ઉત્સવની ખોટી બાબતોની માત્ર ટીકા કરતા ન બેસતા, સ્વાધ્યાય પરિવારના લાખો યુવાનો જન્માષ્ટમી નિમિત્તે છેલ્લા ૨૪ વર્ષથી કોઈ પણ ભૌતિક અપેક્ષા વિના પથનાટ્યો રજૂ કરે છે, એ દૃશ્ય નિશ્ચિત પણે આશા જનક છે!




