
નિઃશુલ્ક કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા ૧૧૦ યુવક-યુવતીઓને દાતાઓના સહયોગથી સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી ૫૫૦ પુસ્તકો અપાયા
આદિવાસી ધોડિયા સમાજના યુવક-યુવતીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય માર્ગદર્શન, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને જરૂરી અભ્યાસ સામગ્રી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ધરમપુર આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બામટી ગ્રામ પંચાયત હોલ ખાતે નિઃશુલ્ક કોચિંગ ક્લાસ શરૂ કરવામાં આવ્યા છે. ટ્રસ્ટની આ શૈક્ષણિક પહેલને વધુ વેગ આપતા કોચિંગ ક્લાસમાં અભ્યાસ કરતા ૧૧૦ યુવક-યુવતીઓને દાતાઓના સહયોગથી કુલ ૫૫૦ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી પુસ્તકોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પુસ્તકોમાં ગણિત, વિજ્ઞાન, જનરલ નોલેજ, અંગ્રેજી, રિઝનિંગ સહિત વિવિધ વિષયોની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી અભ્યાસ સામગ્રીનો સમાવેશ થાય છે. અભ્યાસ માટે જરૂરી પુસ્તકો વિનામૂલ્યે મળતા યુવક-યુવતીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિજયભાઈ પાનેરિયાએ જણાવ્યું હતું કે, સમાજના યુવક-યુવતીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે યોગ્ય વાતાવરણ અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક કોચિંગ ક્લાસની શરૂઆત કરવામાં આવી છે. જેમાં આઠ તજજ્ઞો દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.દાતાઓના સહયોગથી વિદ્યાર્થીઓને વિના મૂલ્યે પરીક્ષાલક્ષી પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. સમાજના વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ અને ઉજ્જવળ કારકિર્દી માટે ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં પણ વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે શ્રીમતી આશાબેન પટેલ, શ્રી મનીષભાઈ પટેલ, ટ્રસ્ટના સેક્રેટરી શ્રી ઉત્તમભાઈ ગરાસિયા, ટ્રસ્ટીઓ શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી ધીરજભાઈ પટેલ, શ્રી સુરેશભાઈ પટેલ, શ્રી રિતેશભાઈ પટેલ, શ્રી નરેશભાઈ પટેલ, શ્રી રાહુલ પટેલ, એ.કે.પટેલ, અભેસિંહભાઈ, હસુમતીબેન, ઠાકોરભાઈ સહિત અન્ય ટ્રસ્ટીઓ અને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ ધરમપુર આદિવાસી ધોડિયા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટની આ શૈક્ષણિક પહેલને આવકારી હતી અને સમાજના યુવક-યુવતીઓને નિયમિત અભ્યાસ, સતત મહેનત અને આત્મવિશ્વાસ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી સફળતા હાંસલ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.
સમાજના યુવાધનને શિક્ષણ તથા સ્પર્ધાત્મક પરીક્ષાના ક્ષેત્રે આગળ વધવાની તકો ઉપલબ્ધ કરાવતી ટ્રસ્ટની આ નિઃશુલ્ક કોચિંગ ક્લાસની પહેલ યુવા શક્તિને સશક્ત બનાવવા અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થશે, તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




