
જિલ્લામાં કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે
કાર્ડ બનાવવાના બાકી હોય તેવા ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ માટે મેગા કેમ્પ અને હાઉસ ટુ હાઉસ સર્વે કરાશે
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૦૭ ફેબ્રુઆરી
આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત વલસાડ જિલ્લામાં એનએફએસએના કુલ ૧૦૬૨૯૭૪ લાભાર્થી છે, જેમાંથી ૭૭૮૨૪૪ લાભાર્થીના પીએમજેએવાય કાર્ડ બનાવવામાં આવ્યા છે. જ્યારે હજુ ૨૬૪૭૩૦ લાભાર્થીઓના કાર્ડ બનાવવાના બાકી હોય જિલ્લા કલેકટરશ્રી ભવ્ય વર્મા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોતના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અરવિંદકુમાર સિંહના નેતૃત્વમાં તા. ૯ થી ૨૮ ફેબ્રુઆરી સુધી મેગા ડ્રાઈવનું આયોજન કરાયુ છે. જેમાં આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી હોય તેવા લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ બનાવવામાં આવશે.
આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું માઈક્રો પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આયુષ આરોગ્ય મંદિર (પેટા કેન્દ્ર)માં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વે કરી એનએફએસએના બાકી લાભાર્થીઓના આયુષ્યમાન કાર્ડ બનાવી ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ કામગીરીનું સઘન મોનીટરીંગ તાલુકા અને પીએચસી કક્ષાએથી કરવાનું રહેશે. જે માટે જિલ્લાના ૬ તાલુકાઓમાં મોનીટરીંગ માટે ટીમ બનાવવામાં આવી છે. જેમાં પારડી તાલુકામાં સીડીએચઓ ડો.અરવિંદકુમાર સિંહ અને એમપીએચએસ અજીત બી. પટેલ, વલસાડ તાલુકામાં ડીએલઓ ડો.જયશ્રી ચૌધરી અને એમપીએચએસ હિતેન્દ્ર વી.સોલંકી, કપરાડા તાલુકામાં ડીટીઓ ડો.હરજિતપાલ સિંગ અને ઈન્ચાર્જ જિલ્લા માહિતી, શિક્ષણ અને પ્રસારણ અધિકારી પકંજભાઈ પટેલ, ધરમપુર તાલુકામાં ઈએમઓ ડો.મનોજ એન. પટેલ અને એમપીએચએસ ભાવેશ બી.પટેલ, ઉમરગામ તાલુકામાં ડો.વિરેન પટેલ અને એમપીએચએસ યોગેશ પટેલ જયારે વાપી તાલુકામાં ડીક્યુએમઓ ડો.દિવ્યેશ પટેલ અને એમપીએચએસ નભુભાઈ પટેલને મેગા ડ્રાઈવમાં કાર્ડ બનાવવાની કામગીરીનું ઘનિષ્ઠ મોનીટરીંગ કરવા જવાબદારી સોંપવામાં આવી છે.
ઉપરોક્ત તમામ લાયઝન અધિકારીશ્રી અને કર્મચારીઓએ કેમ્પના સ્થળે જઈ કાર્ડ બનાવવા માટે કેટલા લાભાર્થીઓનું આયોજન કર્યુ છે તે તપાસવુ, કેમ્પના સ્થળ પર લાભાર્થી કેટલા આવ્યા તેની તપાસ કરવી તેમજ હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી તેમજ કાર્ડ બનાવવાની કામગીરીની તપાસ કરવાની રહેશે. કેમ્પના સ્થળે જે તે કર્મચારી દ્વારા કાર્ડ બનાવવામાં આવે છે તે કર્મચારીને BIS 2.0 પોર્ટલમાં કાર્ડ બનાવતા આવડે છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે. મેગા કેમ્પ અગાઉથી આઈઈસી (પ્રચાર પ્રસાર) કરવામાં આવ્યો છે કે કેમ અને દરેક સ્થળ પર આઈઈસી મટીરીયલ લગાવવામાં આવ્યુ છે કે તે સુનિશ્ચિત કરવું, આયુષમાન કાર્ડ બનાવવાના બાકી રહેલા લાભાર્થીઓની યાદી કેમ્પ સ્થળ પર છે કે નહી તેની તપાસ કરવી, એનએફએસએમાં વિસંગતતા ધરાવતા લાભાર્થીની વિસંતગતતા બરાબર લખવામાં આવી છે કે નહીં તેની તપાસ કરવાની રહેશે.
-૦૦૦-




