[ad_1]

– મૃતક યુવાન ગઇકાલે રાત્રીના પોતાના ઘેરથી ગુમ થયો હતો: પરિવારની શોધખોળ પછી આજે બપોરે માત્ર મૃતદેહ હાથ લાગ્યો
જામનગર, તા. 28
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક જાગૃતિ નગર વિસ્તારમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થીનો 20 વર્ષીય યુવાન પુત્ર કે જેણે રણજીતસાગર ડેમમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે.
મૃતક યુવાન ગઇકાલે રાત્રે પોતાના ઘેરથી નીકળ્યા પછી એકાએક લાપતા બન્યો હતો, અને પરિવારજનોની શોધખોળ પછી આજે બપોરે રણજીત સાગર ડેમમાંથી મૃતદેહ મળી આવતાં ભારે અરેરાટી ફેલાઇ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ખોડીયાર કોલોની નજીક જાગૃતિ નગર વિસ્તારમાં રહેતા અને યદુનંદન ટ્રાન્સપોર્ટ નામની પેઢી ચલાવતા વેજાણંદભાઈ ચાવડા નામના ટ્રાન્સપોર્ટના વેપારીનો 20 વર્ષીય પુત્ર સુનિલ નામનો આશાસ્પદ યુવાન ગઇકાલે રાત્રીના પોતાના ઘેરથી એકાએક ગુમ થઈ ગયો હતો. જેથી તેના પરિવારજનો દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી હતી.
જેનો કોઈ પત્તો નહીં મળતાં આખરે પરિવારજનો દ્વારા સીટી-સી ડિવિઝન પોલીસ મથકમાં મોડી રાત્રે ગમ નોંધ કરાવી હતી. ત્યાર પછી પરિવારજનો તેમજ પોલીસ વગેરે ગુમ થનાર સુનિલ ચાવડાને શોધી રહ્યા હતા.
દરમિયાન આજે રણજીતસાગર ડેમ પાસે તપાસ કરવા જતાં ડેમ ના પાળા નજીક તેનું મોટરસાયકલ મળી આવ્યું હતું. જેથી પરિવારજનો વગેરે ડેમના પાળા ઉપર જઈને તપાસ કરતાં તેના મોટરસાયકલની ચાવી વગેરે પણ મળી આવ્યા હતા. જેથી તે ડેમમાં પડી ગયો હોય તેવું અનુમાન લગાવીને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી.
આથી ફાયર બ્રિગેડની ટુકડી આજે સોમવારે બપોરે રણજીતસાગર ડેમ પર પહોંચી ગઈ હતી, જ્યાં પાણી માં તપાસ હાથ ધરી હતી, દરમિયાન સુનીલનો મૃતદેહ હાથ લાગ્યો હતો. જેને પાણીમાંથી બહાર કાઢી લઈ પંચકોશી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી આવી હતી, અને સુનીલના મૃતદેહનો કબજો સંભાળી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું.
જામનગરના આશાસ્પદ યુવાનના મૃત્યુને લઈને પરિવારજનોમાં ભારે શોકનું મોજુ ફરી વળ્યું છે. તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પોલીસ ઉંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે.
[ad_2]
Source link






