ભગવાન શ્રીકૃષ્ણ વિશે આપત્તિજનક પોસ્ટ કરનારા દંપતિ સામે કાર્યવાહી કરવા માંગ

0
314

સોસીયલ મીડિયામાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ પોષ્ટો મૂકી હતી

200થી વધુ કૃષ્ણ ભક્તોએ વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ધાર્મિક વૈમનસ્ય ઉભો કરવાનો પ્રયાસ કરનારા પતિ પત્ની સામે કડક રીતે કાયદાકીય કાર્યવાહી કરવા માંગ કરી

ભગવાન શ્રીકૃષ્ણના સૌથી મોટા જન્માષ્ટમી પર્વ દરમિયાન સોશિયલ મીડિયા ઉપર શ્રીકૃષ્ણ વિશે આપત્તિજનક ટિપ્પણી કરનારા ધરમપુર તાલુકાના તુંબી ગામના દંપતિ સામે કૃષ્ણભક્તોએ વલસાડ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપી ગુનો દાખલ કરવા માંગ કરી છે. ભક્તોની લાગણી દુભાતા મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તો વલસાડ આવી પહોંચ્યા હતા.

વલસાડ જિલ્લા કલેકટર અને ડીએસપીને સંબોધીને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ધરમપુર તાલુકાના તુંબી ગામે રહેતા વિરલભાઈ પટેલ અને તેમની પત્ની મયુરીબેન પટેલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના સૌથી મોટાં તહેવાર જન્માષ્ટમી દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ વિશે ખૂબ જ આપત્તિ જનક લખાણો લખી તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટેટસ ઉપર મુક્યા હતા. તેમણે શ્રીકૃષ્ણ ભગવાન કેવી રીતે કહેવાય? એવાં સવાલો ઉઠાવ્યાં હતાં. ઉપરાંત બાળઅવસ્થામાં ભગવાન શ્રીકૃષ્ણ તળાવમાં સ્નાન કરતી ગોપીઓને સમજાવે છે જે કૃષ્ણલીલા સંદર્ભે પણ આ યુવાને ભગવાન શ્રીકૃષ્ણ માટે ખૂબ જ આપત્તિજનક લખાણ લખી સમગ્ર જનસમાજની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. 

ભગવાન શ્રીકૃષ્ણના ભક્તો આજે માત્ર ભારત દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. વિશ્વમાં તેમનાં લાખો અનુયાયીઓ છે. તેમની લીલા અપરંપાર છે. ત્યારે ધરમપુર તાલુકાના યુવાન દ્વારા કરાયેલી આ હરકતને કારણે ધાર્મિક વૈમનસ્ય ઉભું થઇ રહ્યું છે. કૃષ્ણ ભક્તોમાં આ ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ કે અન્ય કોઈ પણ ભગવાન કે ધર્મ વિશે આવી ટિપ્પણી ક્યારેય કરી શકાય નહિ. ત્યારે ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડનારા દંપતિ સામે ગુનો દાખલ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગણી કરી હતી.

ધાર્મિક વેરભાવના ઊભી થાય એવા લખાણ સંદર્ભે તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો તેની અવળી અસર પડે એમ છે. અટકપારડીના ડેપ્યુટી સરપંચ અને માં મહાકાલી ટ્રસ્ટના પ્રમુખ ભરતભાઈ ભરવાડે સખત શબ્દોમાં દ્વારકાધીશના અપમાનનો વિરોધ વ્યક્ત કરી પગલાં લેવા માંગ કરી હતી. આ પ્રસંગે વલસાડ માલધારી સમાજના પ્રમુખ રણછોડભાઈ ભરવાડે તાત્કાલિક ગુનો દાખલ કરવા માંગ કરી હતી. તંત્ર દ્વારા પગલા ના લેવાય તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં એના પડઘા પડશે એમ કહ્યું હતું. જ્યારે હિન્દુ અગ્રણી બકુલભાઈ રાજગોરે આ યુવાન અવારનવાર હિન્દુ દેવી-દેવતાઓનાં વિરોધમાં સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરી ધાર્મિક વૈરભાવના ઉભી કરતો હોવાનો આક્ષેપ કરી તેની સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે એકમાત્ર મેસેજથી વલસાડ ધરમપુર પારડી ખેરગામ વગેરે વિસ્તારોમાંથી 200 થી વધુ યુવાનો આવી પહોંચ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here