રેલવેના DFCCILના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ માતા-પુત્ર સહિત 3 લોકોની જંદગી છીનવી લીધી

0
252

 વાપી નજીક બલિઠા ગામે બોમ્બે હોટેલના પાછળના ભાગે રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ચેનલમાં 2 બાળકો ન્હાવા પડ્યા હતાં. બાળકો ઊંડા પાણીમાં ડૂબવા લાગતા તેની બુમાબુમ સાંભળી બાળકની માતાએ તેમને બચાવવા પાણીમાં છલાંગ લગાવી હતી. જેમાં ત્રણેય લોકોના ડૂબી જવાથી કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.

વાપી નજીક બલિઠા ગામે બોમ્બે રેસ્ટોરન્ટમાં ભંગારની અને પ્લોટની રાખેવાળીનું કામ કરતા બાબુભાઇ રાઠોડ પર આભ તૂટી પડ્યું છે. બાબુભાઇ રાઠોડનો 10વર્ષીય પુત્ર રાજ અને તેની પત્ની શુશીલાનું તેમજ સાળીના 12 વર્ષીય પુત્ર કાર્તિકનું ઘર નજીક રેલવેની હદમાં બનેલ ગટર માટેના ખાડામાં ડૂબી જવાથી મોત થયું છે.

ઘટના અંગે વાપી ટાઉન PI બી.જે. સરવૈયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે બલિઠામાં આ ઘટના રેલવેના ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ (DFCCL) દ્વારા ગટર માટે ખોદવામાં આવેલ ખાડામાં બની છે. આ ખાડામાં હાલ વરસાદી પાણી ભરેલું હોય તે પાણીમાં બાબુભાઇ નો પુત્ર રાજ અને તેની સાળી નો પુત્ર કાર્તિક ન્હાવા પડ્યા હતાં. જેને ડૂબતા જોઈ પુત્ર રાજની માતા બંનેને બચાવવા ઊંડા પાણીમાં કૂદી પડી હતી. જેમાં ત્રણેય ડૂબી ગયા હતાં.

ગટરના ખોદકામ માટે બનાવેલ ચેનલમાં માતા-પુત્ર સહિત ત્રણેયે બચાવ માટે બુમાબુમ કરી હતી. જેને નજીકના શોપિંગ સેન્ટરમાં કામ કરતા વોચમેને જોઈ જતા તે તાત્કાલિક બચાવવા માટે આવ્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ત્રણેય પાણીમાં ગરકાવ થઈ ગયા હતાં. જે બાદ આ ઘટના અંગે વાપી ટાઉન પોલીસ અને ફાયરને જાણ કરતા તેમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. જેમાં બાબુભાઈની પત્ની શુશીલા અને પુત્ર રાજના મૃતદેહને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં રવાના કર્યા બાદ સાળીના પુત્ર કાર્તિકના મૃતદેહને એકાદ કલાકની શોધખોળ બાદ પાણીમાંથી બહાર કાઢી તેને પણ વાપી ચલા સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા હતા.

રેલવેના DFCCIL પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટરની બેદરકારીએ એક સાથે 2 પરિવારોના દિપક અને માતાનો જીવ લઈ લેતા આસપાસના લોકોમાં પણ અરેરાટી ફેલાઈ હતી. ઉલ્લેખનીય છે કે મૃતક 12 વર્ષીય કાર્તિક ગઈ કાલે જ તેના માતા પિતા સાથે માસીના ઘરે આવ્યો હતો. જ્યાં તેમના માતાપિતા તેને મૂકીને મુંબઈ સામાજિક પ્રસંગમાં ગયા હતાં. બંને પરિવારમાં રાજ અને કાર્તિક એકના એક દીકરા હતા. બાબુભાઇ રાઠોડના તો પત્ની અને પુત્ર બંનેના મોત બાદ પિતા-પુત્રી નોંધારા બન્યા છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here