
નવસર્જન કેળવણી મંડળ સંચાલિત પી.કે.ડી. વિદ્યાલય, અટાર ખાતે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે ૫ સપ્ટેમ્બર – શિક્ષક દિનની અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી.
શિક્ષક દિનની ઉજવણી અંતર્ગત શાળાના કુલ ૯૦ વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી શિક્ષણકાર્ય કરાવવાનો અનોખો અનુભવ મેળવ્યો હતો. આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં શિક્ષક પ્રત્યે આદરની ભાવના વિકસાવવાની સાથે શિક્ષકની જવાબદારી, મહત્ત્વ અને પડકારોનો પ્રત્યક્ષ અનુભવ કરાવવાનો હતો.
કાર્યક્રમની શરૂઆત શાળાની પ્રાર્થના સભાથી કરવામાં આવી હતી. સમગ્ર પ્રાર્થના સભાનું સંચાલન પણ વિદ્યાર્થીઓ દ્વારા જ કરવામાં આવ્યું હતું. પ્રાર્થના સભા દરમિયાન શાળાના આચાર્યશ્રીએ વિદ્યાર્થીઓને શિક્ષક દિનનું મહત્વ તથા શિક્ષકના જીવનમાં રહેલા મૂલ્ય અને જવાબદારી વિશે સુંદર અને પ્રેરણાદાયી સમજ આપી હતી. વિદ્યાર્થી પ્રતિનિધિ દ્વારા પણ શિક્ષક દિનના મહત્ત્વને ઉજાગર કરતું સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા ધારણ કરી વિવિધ વર્ગખંડોમાં જઈને ઉત્સાહપૂર્વક શિક્ષણકાર્ય કરાવ્યું હતું. શિક્ષક બનીને વિદ્યાર્થીઓને ભણાવવાના આ અનુભવથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ, નેતૃત્વક્ષમતા, જવાબદારીની ભાવના અને સંવાદકૌશલ્યનો વિકાસ થયો હતો. સાથે જ, એક દિવસ માટે શિક્ષક બનીને તેમણે શિક્ષકના કાર્યની મહત્તા અને મહેનતને નજીકથી અનુભવ્યા હતા.
આ પ્રસંગે શાળાના શિક્ષકમિત્રો દ્વારા શિક્ષકની ભૂમિકા નિભાવનાર તમામ વિદ્યાર્થીઓ માટે નાસ્તાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ, આનંદ અને શૈક્ષણિક ભાવનાથી ભરપૂર રહ્યો હતો.
નવસર્જન કેળવણી મંડળના પ્રમુખશ્રી ભીખુભાઈ દેસાઈ તથા મંત્રીશ્રી ડૉ. દીપકભાઈ દેસાઈ દ્વારા આ અનોખી પહેલ બદલ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવી રચનાત્મક પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક જોડાવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ રીતે પી.કે.ડી. વિદ્યાલય, અટાર ખાતે શિક્ષક દિનની ઉજવણી માત્ર એક કાર્યક્રમ પૂરતી સીમિત ન રહેતાં વિદ્યાર્થીઓને ‘શિક્ષક બનવાનો’ પ્રત્યક્ષ અનુભવ કરાવતી અને શિક્ષક પ્રત્યે આદરની ભાવના કેળવતી એક યાદગાર શૈક્ષણિક પ્રવૃત્તિ બની રહી હતી.





