
દેશની સરહદો અને આંતરિક સુરક્ષાની રક્ષા કરતા વીર જવાનોના ત્યાગ, શૌર્ય અને રાષ્ટ્રસેવાને નમન કરવાના ઉદ્દેશ સાથે તા. 20 ઓગસ્ટ 2026ના રોજ “એક રાખી જવાનોના નામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ પેરામિલિટરી કમાન્ડર્સ તથા વીરાંગનાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રક્ષાબંધન પર્વની ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.
આ ગરિમામય કાર્યક્રમનું આયોજન શ્રીમતી અશ્વિની રાણે તાઈ, શૌર્યરક્ષા ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી સંજય શિંદેની ધર્મપત્ની શ્રીદેવી સંજય શિંદે તથા સમગ્ર ટીમના સહયોગથી કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વીર જવાનોની કળાઈ પર રાખડી બાંધી તેમના દેશ પ્રત્યેના સમર્પણ, સાહસ અને બલિદાનને વંદન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સંજય શિંદેએ જણાવ્યું હતું કે, દેશના વીર જવાનોને કારણે જ સામાન્ય નાગરિકો પોતાના ઘરોમાં સુરક્ષિત વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે છે. આવા રાષ્ટ્રરક્ષકો સાથે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવી તેમના માટે અત્યંત ભાવુક અને ગૌરવપૂર્ણ ક્ષણ રહી હતી. જવાનોને રાખડી બાંધીને તેમના પ્રત્યે સન્માન અને કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં રામચંદ્ર તાટે, અંતશ્વર બિરાદાર, હનુમંત રાઉત સહિત પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં સંજય શિંદેની માતા, બહેન, જીજાજી, મામા-મામી, ભાઈ-ભાભી તથા પરિવારના અન્ય સભ્યોની હાજરી રહી હતી.
આ પ્રસંગે રાખડીના મહત્વને રેખાંકિત કરતાં જણાવાયું હતું કે રાખડી માત્ર એક દોરો નથી, પરંતુ તે વિશ્વાસ, સન્માન અને સંબંધનું પ્રતીક છે. જ્યારે આ રાખડી દેશના વીર જવાનોની કળાઈ પર બંધાય છે ત્યારે તે સમગ્ર દેશ તરફથી તેમના પ્રત્યેના વિશ્વાસ અને સન્માનનું પ્રતિનિધિત્વ કરે છે. દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા જવાનો સાથે સમગ્ર દેશ હંમેશા મજબૂતાઈથી ઊભો છે એવો ભાવ આ કાર્યક્રમ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.
“એક રાખી જવાનોના નામ” કાર્યક્રમમાં રાષ્ટ્રરક્ષકો પ્રત્યે આભાર અને સન્માનની લાગણી જોવા મળી હતી. કાર્યક્રમના અંતે તમામ વીર જવાનોને હૃદયપૂર્વક નમન કરી દેશની સેવા અને સુરક્ષા માટે તેમના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. જય હિંદ અને ભારત માતાની જયના જયઘોષ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.





