
સાગર સુરક્ષા કવચ અંતર્ગત વલસાડ જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલા સમગ્ર જિલ્લાના બંદરો/જેટીઓ ખાતે પહોંચી કાંઠા વિસ્તારના માછીમારો અને સ્થાનિકો સાથે મુલાકાત કરી રહ્યા છે. જેના ભાગરૂપે તેઓ તેમની ટીમ સાથે નારગોલ મરીન પોલીસ મથકની હદમાં આવતું નારગોલ ગામના નારગોલબંદર ખાતે વિઝીટ કરી સ્થાનિક માછીમારો તેમજ ગામના આગેવાનો સાથે આજે મંગળવારના રોજ સવારે ૦૯:૩૦ કલાકે નારગોલ બંદર રાધેશ્યામ મંદિર પરિસરમાં બેઠક કરી હતી. જેમાં સ્થાનિક માછીમારો સહિત સ્થાનિક આગેવાનો, સરપંચ, માજીસરપંચો, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યમાં માછીમારોની હાજરી રહી હતી. બેઠકના પ્રારંભમાં જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાનું પુષ્પગુચ્છ સાથે સાલ ઓઢાડી નારગોલના સરપંચ સ્વીટી ભંડારીએ તેમજ પંચાયતના સભ્યોએ વિશેષ સ્વાગત કર્યું હતું.
જિલ્લા પોલીસ વડા ડૉ. કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત માછીમારો તેમજ ગ્રામજનોને બેઠકમાં મુખ્ય એજન્ડા મુજબના વિષયો ઉપર ચર્ચા કરી હતી. ખાસ કરીને માછીમારોને દરિયાની અંદર કોઈપણ અજાણી શંકાસ્પદ હિલચાલ નજરે પડે એવા સંજોગોમાં તાત્કાલિક પોલીસને કરવી જેવી બાબત ઉપર ધ્યાન દોરાયું હતું. ઉપસ્થિત ગ્રામજનો દ્વારા પણ કેટલાક મુદ્દાઓ રજૂ કરાયા હતા.





