
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુંભઘાટ નજીક નેશનલ હાઇવે નં. ૮૪૮ પર તા. ૨૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૭ લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવી છે. મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કુલ રૂ. ૨૮ લાખની સહાય મંજૂર કરવામાં આવી હતી, જેના પ્રમાણપત્રો કપરાડાના ધારાસભ્યના હસ્તે વિતરણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ધારાસભ્યએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મહેસૂલ વિભાગના અધિકારીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મીડિયાના સહકારથી મૃતકોના પરિવારજનોને તાત્કાલિક સહાય ઉપલબ્ધ બની છે. તેમણે શોકસંતપ્ત પરિવારોને સાંત્વના પાઠવી અને બાળકોના શિક્ષણ સહિત અન્ય જરૂરી સહાય માટે હંમેશા સાથે રહેવાની ખાતરી આપી હતી.
મહેસૂલ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ મૃતકદીઠ રૂ. ૪ લાખની સહાય ખાસ કિસ્સા તરીકે મંજૂર કરવામાં આવી છે. કુલ રૂ. ૨૮ લાખની રકમ તા. ૨૪ માર્ચ ૨૦૨૬ના રોજ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી કલેક્ટર, વલસાડના નામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેશન રોડ શાખામાં જમા કરવામાં આવી હતી. ત્યારબાદ આ રકમ ડી.બી.ટી. પદ્ધતિ દ્વારા મૃતકોના વારસદારોના ખાતામાં જમા કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
અકસાન્તમાં આંબાજંગલ અને આસપાસના ગામોના રહેવાસીઓના મોત થયા હતા. દેવકીબેન કિશનભાઈ ગાંગોડા, દક્ષાબેન શિવરામભાઈ માંગી, કવસીબેન ગણેશભાઈ મિશાળ, જહિરામભાઈ લાહનુભાઈ સાનકરા, જયાબેન વિનોદભાઈ રાઉત અને સુરેખાબેન નરેશભાઈ પવાર સહિતના પરિવારજનોને આ સહાય આપવામાં આવી છે.
આ પ્રસંગે તાલુકા પંચાયતના માજી પ્રમુખ હીરાબેન માહલા, તાલુકા પંચાયતના સભ્યો તથા સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકોએ સરકારના આ નિર્ણયને દુખની ઘડીએ મહત્વપૂર્ણ રાહત તરીકે વખાણી હતી.




