
ઉદવાડા–વાપી વચ્ચે પથ્થરમારાથી કોચનો કાચ તૂટ્યો
તારીખ 27 જાન્યુઆરી 2026ના રોજ ઉદવાડા અને વાપી સ્ટેશન વચ્ચે દોડતી ગાડી નંબર 22962 વંદે ભારત એક્સપ્રેસના C/11 કોચ પર અજાણ્યા શખ્સ દ્વારા પથ્થર મારવાની ઘટના સામે આવી હતી. આ બનાવ દરમિયાન કોચના કાચને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ રેલવે સુરક્ષા દળ (RPF) વાપીના અધિકારીઓ સક્રિય બની ગયા હતા અને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.


RPF દ્વારા ટ્રેક પેટ્રોલિંગ અને તપાસ શરૂ
ઘટનાની જાણ થતાં જ RPF વાપીના ઇન્સ્પેક્ટર આશીષ તિવારી પોતાના સ્ટાફ સાથે ઉદવાડા થી વાપી વચ્ચેના ટ્રેક પર પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું. જોકે સ્થળ પર કોઈ સંદિગ્ધ વ્યક્તિ નજરે ચડ્યો નહોતો. આ મામલે RPF વાપી દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ રેલવે અધિનિયમ 1989 હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.
સીસીટીવી ફૂટેજથી મળ્યા મહત્વના પુરાવા
ઘટનાના ઉકેલ માટે વરિષ્ઠ મંડળ સુરક્ષા આયુક્ત મુંબઈ સેન્ટ્રલ સંતોષ કુમાર સિંહ રાઠોડના માર્ગદર્શન હેઠળ ખાસ ટીમ રચવામાં આવી હતી. RPFના CT સંજુ રાજપૂત દ્વારા તે જ રાત્રે અમદાવાદ મંડળ પાસેથી ગાડી નંબર 22962ના કોચ અને લોકોમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવ્યા હતા. ફૂટેજના સઘન નિરીક્ષણ દરમિયાન ઉદવાડા અને વાપી વચ્ચે કિમી 177/07 પાસે બે સંદિગ્ધ વ્યક્તિઓની ઓળખ કરવામાં આવી હતી.
હોટલ અને ફેક્ટરીના કેમેરાથી આરોપીઓ ઝડપાયા
ઘટના સ્થળ આસપાસ નજર રાખવા RPFના CPDS સ્ટાફ HC સંદીપ બાગુલ, HC નીલેશ વેલસકર અને HC દિલીપ દત્તાનીને મુકવામાં આવ્યા હતા. તેમની ટીમે નજીકની હોટલો અને ફેક્ટરીઓમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજના આધારે બે સંદિગ્ધોને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન એક આરોપીએ પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
મુખ્ય આરોપીની ધરપકડ, સાથી સામે પણ કાર્યવાહી
પકડાયેલા આરોપીનું નામ સતેન્દ્ર કુમાર ઉર્ફે છોટુ (ઉંમર 20 વર્ષ), રહેવાસી ટિપટોપ મોરાઈ ફાટક પાસે, સંજય મિશ્રાની ચાલ, વાપી હોવાનું સામે આવ્યું છે. તેણે વંદે ભારત ટ્રેન પર પથ્થર ફેંકવાનો ગુનો કબૂલ કર્યો હતો, જેના આધારે તેને ધરપકડ કરવામાં આવી હતી. અન્ય એક વ્યક્તિ શ્રીપાલ શિવનરેશ ઘટનાસ્થળે હાજર હોવાનો ખુલાસો થયો હતો, જેને લઈને તેના વિરુદ્ધ પણ રેલવે અધિનિયમ હેઠળ કાર્યવાહી હાથ ધરાઈ છે.
આરોપીને કોર્ટમાં રજુ કરી જેલ હવાલે
પથ્થરમારાની ઘટનાના મુખ્ય આરોપી સતેન્દ્રને સુરત રેલવે કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. જ્યાં માનનીય અદાલતે તેને નવસારી સબ જેલમાં મોકલવાનો હુકમ કર્યો હતો. સમગ્ર કેસની વધુ તપાસ RPF વાપીના ઇન્સ્પેક્ટર આશીષ તિવારી દ્વારા હાથ ધરાઈ રહી છે.
રેલવે તંત્રની અપીલ અને ચેતવણી
રેલવે તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે ટ્રેન પર પથ્થર અથવા અન્ય કોઈ વસ્તુ ફેંકવી ગંભીર ગુનો છે, જેનાથી મુસાફરોના જીવને જોખમ ઊભું થઈ શકે છે. રેલવે લાઈન પર અનધિકૃત પ્રવેશ ન કરવા અને કાયદાનું પાલન કરવા વિનંતી સાથે ચેતવણી આપવામાં આવી છે કે આવી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.




