
ધરમપુર તાલુકાના ભાંભા ગામના યુવા શિક્ષણપ્રેમી અને વિદ્યાર્થી નેતા શ્રી પ્રદીપભાઈ પટેલની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમની આ નિમણૂકથી ધરમપુર તાલુકા, વલસાડ જિલ્લો તેમજ સમગ્ર દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીવર્ગમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
શ્રી પ્રદીપભાઈ પટેલે પોતાના વિદ્યાર્થી જીવનથી જ વિદ્યાર્થી હિત અને ન્યાય માટે સતત સંઘર્ષ કર્યો છે. તેમણે 2015 થી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) સાથે કાર્યકર તરીકે પોતાની સફરની શરૂઆત કરી હતી. ધરમપુર નગર મંત્રી, જીલ્લા સહ સંયોજક જેવી મહત્વપૂર્ણ જવાબદારી થકી વિદ્યાર્થી હિતના અનેક પ્રશ્નો માટે તેમણે આંદોલનોમાં સક્રિય ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના હકો માટે સતત અવાજ ઉઠાવ્યો હતો.
ABVPમાં તેમણે પ્રદેશ જનજાતિ સંયોજક તરીકે મહત્વપૂર્ણ જવાબદારી સફળતાપૂર્વક નિભાવી હતી. વિદ્યાર્થી આગેવાન તરીકે તેમણે 2021મા દિલ્હી ખાતે જનજાતિ સંમેલનમા આદિવાસી વિદ્યાર્થીઓનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
ધરમપુર તાલુકામાં વિદ્યાર્થીઓને રહેવાની સુવિધા ઉપલબ્ધ થાય તે માટે વિદ્યાર્થી હોસ્ટેલની માંગ સાથે તેમણે સતત પ્રયત્નો કર્યા હતા. તેમના પ્રયાસોથી આજે આ હોસ્ટેલમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે નિવાસની સુવિધાનો લાભ લઈ રહ્યા છે.
આ ઉપરાંત ધરમપુર એજ્યુકેશન એન્ડ સ્પોર્ટ્સ ગ્રુપના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે નિઃશુલ્ક સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્લાસિસ , માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડ્યો છે.
શિક્ષણ અને વિદ્યાર્થી કલ્યાણ ક્ષેત્રે તેમના નોંધપાત્ર યોગદાનને માન્યતા આપતાં ગુજરાત સરકારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે.
તેમની આ નિમણૂક બદલ વિવિધ સામાજિક, શૈક્ષણિક અને વિદ્યાર્થી સંગઠનો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે.





