
કપરાડા તાલુકાના અસ્ટોલ અને ઘોટણ ગામમાં શનિવારના રોજ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા વિરાટ હિન્દુ સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ગામના આગેવાનો, સરપંચો અને યુવા વર્ગના સક્રિય પ્રયત્નોથી તથા પૂજ્ય સંતોના આશીર્વાદ હેઠળ આ સંમેલન સફળતાપૂર્વક સંપન્ન થયું.

કાર્યક્રમની શરૂઆત હરિ પાઠથી કરવામાં આવી. ત્યારબાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંચાલિત પાઠદાન કેન્દ્રના બાળકો દ્વારા સ્વાગત ગીત અને સાંસ્કૃતિક નૃત્યની સુંદર પ્રસ્તુતિ રજૂ કરવામાં આવી. સાથેસાથે ભાઇઓ અને બહેનો દ્વારા પરંપરાગત તારપા નૃત્યની વિશિષ્ટ રજૂઆત પણ સૌનું ધ્યાન ખેંચતી રહી.
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના જિલ્લા કાર્યવાહ શ્રી મહેશભાઈ પટેલે પોતાના ઉર્જાસભર વક્તવ્યમાં પંચ પરિવર્તનના વિષય પર પ્રકાશ પાડ્યો અને હિન્દુ સમાજને વધુ એકતાબદ્ધ બની સંઘ અને સમાજ કાર્યોમાં જોડાવા માટે પ્રેરિત કર્યું.
સંમેલન દ્વારા ગામોમાં ધાર્મિક ગૌરવ, રાષ્ટ્રપ્રેમ અને હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની નવી જાગૃતિનો સંદેશ વ્યાપક રીતે ફેલાયો.




