
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર વધતા અત્યાચારો તથા તાજેતરમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની નિર્મમ હત્યાના વિરોધમાં આજે ધરમપુરમાં હિન્દુ સમાજ દ્વારા આક્રોશ પ્રદર્શન યોજાયું. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ, ધરમપુરના સંયુક્ત આયોજન હેઠળ ત્રણ દરવાજા વિસ્તારમાં સાંજે 7 વાગ્યે યોજાયેલા આ પ્રદર્શન દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત આગેવાનોએ જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થતા હુમલાઓ સતત વધી રહ્યા છે અને દીપુ ચંદ્ર દાસની ઘટના માનવ અધિકારો માટે ગંભીર ચેતવણી સમાન છે. માત્ર પોતાની ઓળખ અને વિચારો વ્યક્ત કરવાના કારણે એક નિર્દોષ યુવાનની હત્યા થવી માનવતા માટે શરમજનક બાબત હોવાનું તેમણે જણાવ્યું.

કાર્યક્રમ દરમિયાન શાંતિપૂર્ણ રીતે નારા લગાવી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર તાત્કાલિક બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ ભારત સરકાર તથા આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર સંસ્થાઓ આ મુદ્દે ગંભીરતાથી દખલ આપે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે આગેવાનોએ કહ્યું કે “આજે દીપુ દાસ છે, કાલે કોઈનો ભાઈ કે કોઈનો પુત્ર હોઈ શકે,” તેથી હિન્દુ સમાજે એકતા સાથે જાગૃત રહેવાની જરૂર છે. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન નક્કી થયા બાદ અને યોજાય ત્યાં સુધીના સમયગાળામાં દીપુ ચંદ્ર દાસ જેવી જ વધુ એક ઘટનામાં બાંગ્લાદેશમાં અમૃત મંડલ નામના હિન્દુ યુવકની પણ ટોળા દ્વારા માર મારી હત્યા થવાની ઘટના સામે આવી છે
આ પ્રદર્શનમાં વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી રાકેશભાઈ રાણા, સહમંત્રી નિલેશભાઈ પટેલ,ધરમપુર પ્રખંડ બજરંગ દળના સંયોજક યુવરાજસિંહ સોલંકી ઉપરાંત જય દિવેચા,અંકિત ચોંનકર અને નગરપાલિકા પ્રમુખ મયંક મોદી,ભાજપ શહેર પ્રમુખ અમિત ચોરેરા, સંજયભાઈ સરદેસાઈ, કલ્પેશભાઈ કાપડિયા,સમીપ રાંચ વગેરે નગરના આગેવાનો અને બજરંગ દળના આગેવાનો, કાર્યકર્તાઓ તથા હિન્દુ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.




