આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ

On: September 21, 2025 8:30 AM
Share this article:

Whatsapp Channel

Join Now

Telegram Group

Join Now

અરાજકતા વચ્ચે શાંતિ: કાદવમાં ખીલેલા કમળ જેવા બનો
~ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર

રણમાં પાણીની બોટલ ઝરણા કરતાં વધુ મૂલ્યવાન હોય છે. જ્યારે ચારે બાજુ શાંતિ હોય અને તમે શાંતિમાં હોવ, ત્યારે તેનો કોઈ ખાસ અર્થ હોતો નથી. પરંતુ જ્યારે તમારી આસપાસની દરેક વસ્તુ તૂટી રહી હોય અને તમે ત્યારે પણ જો તમારું સ્મિત જાળવી રાખો છો, ત્યારે શાંતિ ખરેખર મૂલ્યવાન ગણાય છે. જ્યારે લોકો તમને દોષ આપે છે, જ્યારે તેઓ તમને સમજી શકતા નથી – ત્યારે તમને હસતા રહેવા માટે આંતરિક શક્તિની જરૂર હોય છે. જ્યારે તમે અરાજકતા અને મૂંઝવણથી ઘેરાયેલા હોવ છો, ત્યારે શાંતિની સૌથી વધુ જરૂર હોય છે. અરાજકતામાંથી આનંદ ઉભરે છે, અને અરાજકતાનો આનંદ માણવાની ક્ષમતા જ્ઞાનપ્રાપ્તિ છે.

જ્યારે પરિસ્થિતિઓ અનુકૂળ ન હોય, ત્યારે અડગ રહેવા માટે ધીરજ, શક્તિ અને હિંમતની જરૂર હોય છે.

ભગવાન કૃષ્ણએ ગીતામાં કહ્યું હતું, “સમત્વમ યોગ ઉચ્યતે,” એટલે કે સમતા એ યોગની કસોટી છે. મહાત્મા ગાંધીના જીવનસાથી, કસ્તુરબા ગાંધી, તેમના અંતિમ ક્ષણોમાં હતા. ડોકટરોએ આશા છોડી દીધી હતી. તેમણે કહ્યું, “માત્ર થોડા કલાકો કે મિનિટો બાકી છે.” તે જ ક્ષણે, ગાંધીજી તેમની ઝૂંપડીમાંથી બહાર આવ્યા અને પંડિત સુધાકર ચતુર્વેદીને કહ્યું, “ગીતાનો તે શ્લોક મને સંભળાવો.” જ્યારે તેમણે ગીતાનો પાઠ પૂર્ણ કર્યો, ત્યારે ગાંધીજીએ કહ્યું, “આજે મારી કસોટી છે.”

જ્ઞાન પ્રાપ્તિ એટલે જીવનને ઊંડાણપૂર્વક જીવવું. જ્યારે તમારા મૂળ ઊંડા હોય છે, જ્યારે તમે તમારા અસ્તિત્વના ઊંડાણમાંથી જીવો છો, ત્યારે દુનિયા હલી શકે છે, પરંતુ તમે અડગ રહો છો. તમે તોફાનનો અનુભવ કરો છો, પરંતુ તોફાન તમને ઘેરી લેતું નથી.

કાદવમાં ખીલેલા કમળ જેવા બનો, કાદવથી અછૂતા. કમળનું પાંદડું પાણીમાં રહે છે, પરંતુ જો તેના પર પાણીનું એક ટીપું મૂકવામાં આવે છે, તો તે મોતીની જેમ તેના પર રહે છે, પરંતુ તેમાં ચોંટી રહેતું નથી. તેવી જ રીતે, આ દુનિયામાં જીવો, પરંતુ કોઈ પણ વસ્તુને વળગી રહેશો નહીં. જ્યારે તમે સંઘર્ષ અને અરાજકતા સાથે જીવવાનું સ્વીકારો છો, ત્યારે તે અદૃશ્ય થઈ જાય છે.

તમે કેવી રીતે કેન્દ્રિત રહી શકો છો? તમારું ધ્યાન અનુભવ પરથી હટાવી અને અનુભવકર્તા તરફ લઇ જાઓ. અનુભવો હંમેશા પરિઘ પર હોય છે; તેઓ બદલાય છે. પરંતુ અનુભવકર્તા, અપરિવર્તનશીલ, કેન્દ્રમાં છે. વારંવાર કેન્દ્ર તરફ પાછા ફરો.

જો તમે નિરાશ થાઓ છો, તો નિરાશાના અનુભવમાં ખોવાઈ જવાને બદલે, પૂછો, “કોણ નિરાશ છે?” જો તમે ઉદાસ હોવ, તો પૂછો, “કોણ ઉદાસ છે?” જો તમે અજ્ઞાની લાગતા હો, તો પૂછો, “કોણ અજ્ઞાની છે?” જો તમને લાગે કે, “હું ગરીબ છું,” તો પૂછો, “આ ‘ગરીબ હું’ કોણ છે?” તમારા બધા આવરણો ઉતારો અને ‘હું’ નો સામનો કરો.

વ્યવસ્થા અને અરાજકતા એક જ સિક્કાની બે બાજુઓ છે. અનિશ્ચિતતાને બે રીતે જોઈ શકાય છે – તે કાં તો તમારા ઉત્સાહ અને આનંદમાં વધારો કરી શકે છે, અથવા તમને ભય, ચિંતા અને હતાશામાં ડૂબાડી શકે છે. જ્યારે તમે આશ્ચર્ય થવાની રાહ જોઈ રહ્યા હોવ છો, ત્યારે તમે ખરેખર શું ઇચ્છો છો? કંઈક જેની તમે અપેક્ષા રાખતા નથી, ખરું ને? સુખદ આશ્ચર્ય જીવનમાં ઉત્સાહ લાવે છે અને મનોબળ વધારે છે. ફિલ્મ જોતી વખતે આગળ શું થશે તે ખબર પડી જાય તો ફિલ્મ જોવાની મજા નથી આવતી. પરંતુ જ્યારે તમને ખબર નથી હોતી, ત્યારે ઉત્તેજના અને આનંદ રહે છે. અનિશ્ચિતતા તમને ક્યારે ચિંતા કરાવે છે? જ્યારે તમને વિશ્વાસ નથી હોતો કે તમારી સંભાળ રાખવામાં આવી રહી છે, કે આ બ્રહ્માંડમાં કોઈ શક્તિ છે જે તમને પ્રેમ કરે છે અને તમારી જરૂરિયાતોનું ધ્યાન રાખી રહી છે. અનિશ્ચિતતા ભય પેદા કરી શકે છે. પરંતુ તમે તેને બધી સંભાવનાઓના ક્ષેત્ર તરીકે પણ જોઈ શકો છો.

જીવન એ અજ્ઞાની (હું કંઈ જ નથી જાણતો) થી જ્ઞાની (એ વિશે મને જ્ઞાન નથી) સુધીની સફર છે. અજ્ઞાનતા પૂર્ણ “હું કંઈ જ નથી જાણતો” એ છે જ્યારે તમે હતાશામાં કહો છો: “હું કંઈ જ નથી જાણતો, મને પૂછશો નહીં!” પરંતુ “એ વિશે મને જ્ઞાન નથી” એ જ્ઞાનપૂર્ણ અજાયબી છે. તમારા પ્રશ્નને આશ્ચર્યમાં ફેરવો! બુદ્ધે કહ્યું, “અનુત્તર ભવ:” – જવાબો રહિત રહો. તેમણે ક્યારેય એવું નથી કહ્યું કે, “પ્રશ્નો વિના રહો.” જ્યારે તમે આશ્ચર્યમાં હોવ ત્યારે જ સાચી ભક્તિ ખીલે છે.

અંધાધૂંધીમાં સામંજસ્ય શોધવું, દુઃખમાં આનંદ શોધવો, મૂર્ખતામાં જ્ઞાન શોધવું, અંધકારમાં પ્રકાશ શોધવો, મૃત્યુના સ્થાને અમરત્વ શોધવું – આ ભગવદ ગીતા છે.

અશાંતિ આ વિશ્વનો સ્વભાવ છે, જ્યારે શાંતિનું સર્જન કરવું એ આપણા આત્માનો સ્વભાવ છે. જો, દૃઢનિશ્ચય અને કુશળતાથી, આપણે શાંતિમાં સ્થિર રહી શકીએ, તો તે ફક્ત આપણા આંતરિક સ્વ સુધી મર્યાદિત નથી પણ આપણી આસપાસની અશાંતિને પણ શાંતિ માં રૂપાંતરિત કરવાનું શરૂ કરે છે.

व्हाट्सएप से जुड़ें

अभी जुड़ें

टेलीग्राम से जुड़ें

अभी जुड़ें

इंस्टाग्राम से जुड़ें

अभी जुड़ें

error: Content is protected !!