
વલસાડ ભાજપ કાર્યાલય ખાતે ગ્રામજનોનો હોબાળો: વિકાસકામો ન થતાં આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી

વલસાડ: વલસાડના દરિયાકાંઠા વિસ્તારમાં આવેલા ભાગલ, દાંતી, કકવાડી, માલવણ અને ધરાસણા સહિતના ગામોમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રોડ-રસ્તા અને દરિયાઈ ધોવાણ અટકાવતી પ્રોટેક્શન વોલ ન હોવાથી સ્થાનિક રહીશો લાંબા સમયથી ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિક તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં, આખરે પાંચેય ગામોના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ વલસાડ સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને હોબાળો મચાવ્યો હતો.
ગામના આગેવાનો, મહિલાઓ અને યુવાનોએ ભાજપ કાર્યાલયે પહોંચી હલ્લાબોલ કરી જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાને રૂબરૂ આવેદનપત્ર સોંપ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું હતું કે કાંઠા વિસ્તાર સતત ઉપેક્ષાનો ભોગ બની રહ્યો છે. જો આ વિસ્તારના વિકાસકામો અને પ્રોટેક્શન વોલનું નિર્માણ વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેમજ આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે.
જિલ્લા પ્રમુખ હેમંત કંસારાનું આશ્વાસન ગ્રામજનોની ઉગ્ર રજૂઆત સાંભળી ભાજપ જિલ્લા પ્રમુખ હેમંત કંસારાએ તેમને ખાતરી આપતાં જણાવ્યું હતું કે કાંઠા વિસ્તારના લોકોની આ માંગણી તદ્દન વ્યાજબી છે. ભારતીય જનતા પાર્ટી કાંઠાના વિકાસ માટે કટિબદ્ધ છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે સ્થાનિક વહીવટી તંત્ર, પક્ષના ઉચ્ચ પદાધિકારીઓ તેમજ જરૂર પડ્યે ગાંધીનગર કક્ષાએ રાજ્ય સરકારમાં રજૂઆત કરી પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવામાં આવશે.




