ધરમપુર સાક્ષી બનશે ઐતિહાસિક ક્ષણનો,

ધરમપુરના વ્યાસ તીર્થ ખાતે ભગવાન શ્રી વેદ વ્યાસજીની કૃપાથી અને પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા ના સંકલ્પથી તા. 1 થી 7 માર્ચ 2026 દરમિયાન શ્રીમદ્ ભાગવત કથાનું ભવ્ય અને વિશાળ આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે વ્યાસ પીઠના ઇતિહાસમાં એક અનોખો અને ઐતિહાસિક ક્ષણ સર્જાઈ રહ્યો છે. પહેલી વાર પૂજ્ય શરદભાઈ વ્યાસ દાદા તથા તેમના આત્મજ યુવા ભાગવતાચાર્ય પૂજ્ય આશિષભાઈ વ્યાસ એક જ વ્યાસ પીઠ પરથી સંયુક્તરૂપે ભાગવત કથા વાચન કરશે.ધાર્મિક જગતમાં આ પ્રસંગને સમગ્ર પંથકમાં અતિ વિશેષ અને યાદગાર ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યો છે.
કથાનો પ્રારંભ 1 માર્ચે સવારે 9:30 કલાકે ભવ્ય પોથીયાત્રાથી થશે. 4 માર્ચના રોજ સાંજે 5:30 કલાકે શ્રી રામ જન્મોત્સવ અને 6:30 કલાકે નંદ મહોત્સવ તથા ફૂલ હોળી ઉત્સવ ઉજવાશે. તા. 6 માર્ચે બપોરે 12:00 કલાકે શ્રી ગોવર્ધન પૂજન અને સાંજે 6:00 કલાકે શ્રી રુક્મિણી વિવાહનો વિશેષ ધાર્મિક પ્રસંગ યોજાશે. આ પ્રસંગો ભક્તો અને નગરજનો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.

દૈનિક કથાનો સમય સવારે 9:30 થી 12:00 તથા સાંજે 4:00 થી 6:30 રહેશે. સાત દિવસ સુધી ચાલનારી આ કથામાં શ્રીમદ્ ભાગવતના વિવિધ પ્રસંગો, ભક્તિ, જ્ઞાન અને સંસ્કારસભર સંદેશોનું સુંદર વર્ણન કરવામાં આવશે. આયોજકોના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.
આ પાવન આયોજનના યજમાન શ્રી અલકાબેન તથા ભાવેશભાઈ ભીડે પરિવાર (મુંબઇ) તેમજ શ્રી પાર્વતીબેન તથા શિવગણાલાલ રામાણી પરિવાર (બેંગલોર) છે. આયોજકો દ્વારા તમામ ધાર્મિક ભાવિકોને પરિવાર સાથે ઉપસ્થિત રહી કથાનો આધ્યાત્મિક લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.




