
વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગ ગુજરાત આશ્રમ પણ રુદ્રપૂજા નું ભવ્ય આયોજન

મહાશિવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ આર્ટ ઓફ લિવિંગના બેંગલોર સ્થિત આતંરરાષ્ટ્રીય કેન્દ્ર પર દસ લાખ થી વધુ શ્રદ્ધાળુઓની ભવ્ય ભક્તિમય ઉપસ્થિતિ રહી જ્યાં તેઓએ શાંતિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કર્યો. આ ઉજવણીમાં ભક્તિમય સત્સંગ તેમજ મહારુદ્રપૂજા નું આયોજન કરવામાં આવ્યું હતું. રુદ્રપૂજા બાદ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી દ્વારા સુંદર ધ્યાન કરાવવામા આવ્યું.

ગુરુદેવે જણાવ્યું:
“મહાશિવરાત્રી એ એવો ક્ષણ છે જ્યારે આત્મા ભૌતિક દુનિયાને પાર કરી આધ્યાત્મિક ઊંચાઈએ પહોંચે છે. શિવ દરેક કણમાં વ્યાપ્ત છે. આપણું ચૈતન્ય સ્વરૂપ જ શિવ છે. શિવમાં લીન થવું એ ભક્તિ છે અને દરેકમાં શિવને જોવું એ સેવા છે. જે અવિનાશી છે તે આપણામાં અંદર જ સ્થિત છે. આટલો વિશ્વાસ હોય તો જીવનમાં આનંદ જ આનંદ રહેશે અને કોઈ કમી નહીં રહે. માન્યતા છે કે ભક્તિ અને પ્રેમથી શિવરાત્રી ઉજવો તો તમામ ઇચ્છાઓ પૂર્ણ થાય છે.” “મહાકાલ કેવી રીતે પ્રગટ થાય છે? તે યોગીઓના હૃદયમાં પ્રકાશરૂપે ઝળહળે છે.” – ગુરુદેવે કહ્યું.
આ ઉજવણીનું મુખ્ય આકર્ષણ પવિત્ર રુદ્ર પૂજા હતી, જે ભગવાન રુદ્રની આરાધનાને સમર્પિત શક્તિશાળી વૈદિક વિધિ છે. રુદ્ર પૂજા શિવની પરિવર્તનકારી ઊર્જાને આવાહન કરે છે, જે નકારાત્મકતાના વિલય અને ઊંચી ચેતનાના જાગરણનું પ્રતિક છે. શ્રી રુદ્રમ ના પ્રાચીન વૈદિક મંત્રોમાં મૂળ ધરાવતી આ વિધિ વાતાવરણને પવિત્ર બનાવે છે, સમૂહ ચેતનાને ઉન્નત કરે છે અને વ્યક્તિ તથા સમાજ માટે શાંતિ, સમૃદ્ધિ અને કલ્યાણ લાવે છે. ભારત તેમજ વિદેશમાં કેનેડા, દુબઈ, જર્મની સહિત ૧૫૦ સ્થળોએ પણ રુદ્ર પૂજાનું આયોજન કરવામાં આવ્યું.
બેંગલોર ખાતે ઇન્ટરનેશનલ સેંટર પર રુદ્રમ ના શક્તિશાળી મંત્રોચ્ચાર, વૈદિક વિધિઓ અને ભાવસભર સંગીત સાથે બ્રાઝિલ, આર્જેન્ટિના, વેનેઝુએલા, મલેશિયા, થાઈલેન્ડ, બલ્ગેરિયા, અરબ દેશો, ચીન તથા યુરોપ, દક્ષિણપૂર્વ એશિયા અને મધ્યપૂર્વના દેશોમાંથી આવેલા ૫૦ દેશોના શ્રદ્ધાળુઓ ભક્તિ, સંગીત અને ધ્યાનમાં એકરૂપ બની જોડાયા હતા.
દિવસભર દરમિયાન ૩ લાખથી વધુ લોકો એ મહાપ્રસાદ રૂપે ભોજન ગ્રહણ કર્યું, જે ૧૫ ટનથી વધુ શાકભાજીથી હજારો સ્વયંસેવકો દ્વારા તૈયાર કરવામાં આવ્યુ હતું. આ શુભ દિવસે ગુરુદેવના સાન્નિધ્યમાં બે ડઝનથી વધુ વૈદિક લગ્ન અને ષષ્ટિપૂર્તિ વિધિઓ પણ સંપન્ન થઈ હતી.
ઓફલાઈન કાર્યક્રમ ઉપરાંત, ઐતિહાસિક સિદ્ધિરૂપે ૧૨૦ દેશોમાંથી એક લાખથી વધુ લોકો લાઇવ વેબકાસ્ટ દ્વારા ઉજવણીમાં ઓનલાઈન જોડાયા હતા.
આર્ટ ઓફ લિવિંગના વાસદ સ્થિત આશ્રમમાં પણ કૌશિક સ્વામીજી (કાશી ભૈયા) ના સાનિધ્યમાં હજારો લોકો એ શિવરાત્રીના વિવિધ કાર્યક્રમો તેમજ રુદ્રપૂજાનો લાભ લીધો હતો.





