

વૈશ્વિક માનવતાવાદી અને આધ્યાત્મિક ગુરુ ગુરૂદેવ શ્રી શ્રી રવિશંકરજી એ ગયા અઠવાડિયામાં વાસદ, સુરત અને અમદાવાદની મુલાકાત લીધી, જ્યાં હજારો સાધકો ધ્યાન, જ્ઞાન, સત્સંગ અને સંવાદ માટે ઉમટ્યા. તેમની મુલાકાત દરમિયાન ગુરુદેવે સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ વર્ગોના વરિષ્ઠ સંતો સાથે સ્નેહસભર મુલાકાત કરી, જે આધ્યાત્મિક એકતા અને સાંસ્કૃતિક વારસાની સંયુક્ત ભાવનાને પ્રતિબિંબિત કરતી હતી.
વાસદ સ્થિત આર્ટ ઓફ લિવિંગના આશ્રમમાં ગુરુદેવે સૈંકડો કોલેજ યુવાનો, ગ્રામજનો તેમજ ૫,૦૦૦થી વધુ ભક્તો સાથે સંવાદ કર્યો. આ કાર્યક્રમમાં અમેરિકા, આર્જેન્ટિના, બ્રાઝિલ અને મેક્સિકોથી આવેલા આંતરરાષ્ટ્રીય સાધકો પણ ઉપસ્થિત રહ્યા હતા, જે ગુરુદેવના ઉપદેશોની વૈશ્વિક અસર દર્શાવે છે.
ત્યારબાદ ગુરુદેવ સુરત અને અમદાવાદ પહોંચ્યા, જ્યાં ૧૨,૦૦૦થી વધુ લોકોએ વિશેષ કાર્યક્રમ ‘soaking in bliss’ માં ભાગ લીધો હતો. આ કાર્યક્રમો ગુરુદેવની ઉપસ્થિતિમાં લોકોએ જ્ઞાન, ગહનતા, હળવાશ અને અમૂલ્ય સ્મૃતિઓનો અનુભવ કર્યો.
વાસદ માં એક સત્સંગ દરમિયાન ગુરુદેવે ભગવાન શ્રીકૃષ્ણ નું ઉદાહરણ આપી જવાબદારીને હળવાશથી વહન કરવાની વાત સમજાવી:
“ભગવાન કૃષ્ણ સમગ્ર વિશ્વની જવાબદારી વહન કરે છે, છતાં તેમના મસ્તક પરનો રંગબેરંગી મોરપીછનો મુકુટ ક્યારેય ભારરૂપ લાગતો નથી. સમગ્ર વિશ્વની જવાબદારી હોવા છતાં વ્યક્તિ હંમેશાં હસતાં અને હળવાશથી રહી શકે છે. જાણો કે તમારી જવાબદારીઓ તમે એકલા નથી વહન કરતા; કોઈ શક્તિ તમને સહારો આપી રહી છે.”
સુરત અને અમદાવાદમાં પણ આનંદ અને ભક્તિના મોજાં ઉછળ્યા. હજારો લોકો હળવાશ, જ્ઞાન, હાસ્ય, સંગીત અને જીવન પરિવર્તનકારી આધ્યાત્મિક માર્ગદર્શનથી ભરપૂર એક સુંદર સાંજનો આનંદ માણવા એકત્ર થયા.
જીવનમાં સંતુલનની મહત્વતા પર પ્રકાશ પાડતાં ગુરુદેવે મધ્યમ માર્ગ અપનાવવા અને ધીમા ગતિએ આગળ વધવાની પ્રેરણા આપી: “જીવન દોડ નથી… જ્યારે મનમાં શાંતિ અને ધીરજ હોય, ત્યારે વસ્તુઓ સ્વાભાવિક રીતે પ્રસ્ફૂટિત થાય છે.” તેમણે આશ્ચર્યભાવને આધ્યાત્મિક ગુણ તરીકે વર્ણવતાં કહ્યું કે તે મનને તાજું અને હૃદયને ખુલ્લું રાખે છે.
તેમણે વિવિધતાની સુંદરતા પર ભાર મૂકતાં કહ્યું: “વિચાર કરો, કેટલી પ્રકારની શાકભાજી અને ફળો છે, કેટલા પ્રકારના લોકો છે! દરેક વ્યક્તિનો ચહેરો અને નાક અનોખાં છે. ગુજરાતમાં પણ સુરત, અમદાવાદ અને કચ્છના લોકોમાં ભિન્નતા છે. ઈશ્વરે આ રંગબેરંગી વિશ્વ તમારી આનંદ માટે રચ્યું છે, છતાં તમે દુઃખી કેમ રહો છો? જ્યારે તમે જીવનને બાળક જેવી તાજગીથી જુઓ છો, ત્યારે દિવ્યતા તમારા અંદર જીવંત બની જાય છે.”
તેમની હળવી શૈલીમાં ગુરુદેવે જણાવ્યું કે હાસ્ય નકારાત્મકતાને દૂર કરી શકે છે: “જો કોઈ તમને અપશબ્દ કહે, તો જવાબમાં અપશબ્દ ન આપો; સ્મિત આપો. જ્યાં હાસ્ય છે, ત્યાં નકારાત્મકતા ઓગળી જાય છે.”
તેમણે વધુમાં જણાવ્યું કે વિરોધી મૂલ્યો દેખાવમાં વિરુદ્ધ લાગતાં હોવા છતાં પરસ્પર પૂરક છે, અને પડકારો માનવ શક્તિને ઉજાગર કરે છે: “રાવણના અસ્તિત્વથી જ રામની મહાનતા તેજસ્વી બને છે.”
ગુરુદેવનો આ ગુજરાત પ્રવાસ લોકો માટે નિશ્ચિત રૂપે યાદગાર રહેશે. ગુરુદેવ વારંવાર ગુજરાત આવે છે અને શાંતિ, પ્રેમ, એકતા, સેવા, સાધના અને સત્સંગનો સંદેશ અવિરત પ્રસારિત કરે છે. આ પ્રવાસ દરમિયાન પણ તેમણે એ જ ભાવના સાથે લોકોના હૃદયોને સ્પર્શ્યા અને પ્રેરણા તથા સંતોષની લાગણી આપીને ગયા.




