[ad_1]

સુરત, તા. 24 ફેબ્રુઆરી
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ શરૂ છે અને બન્ને દેશોના સ્થાનિકો ચિંતિત છે. જો કે ચાર દિવસ પહેલા જ સુરત આવેલ વિદ્યાર્થીની પૂજા શુક્લા યુદ્ધની પરિસ્થિતિ થી તો બચી ગઈ છે. પરંતુ આ વિદ્યાર્થીઓ તેમના એમબીબીએસના ભણતરને લઈને ચિંતામાં છે.
ભારતભર થી હજારોની સંખ્યામાં દર વર્ષે યુક્રેન વિદ્યાર્થીઓ મેડિકલના ભણતર માટે જાય છે અને હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધની પરિસ્થિતિને લઈ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ ચિંતાતુર બન્યા છે. યુદ્ધના એંધાણને લઈને ભારત સરકારે પોતાના નાગરિકોને યુક્રેન છોડી ભારત આવવા માટે સૂચના પણ આપી હતી. જેથી ઘણા વિદ્યાર્થીઓ ભારત આવી ગયા છે. પરંતુ હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. જો કે સુરતની પૂજા શુક્લા 4 દિવસ પહેલા જ હેમખેમ સુરત આવી પહોંચી છે. તે યુક્રેનના બુકોવિનિયન સ્ટેટ યુનિવર્સિટી માં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. પૂજાના પિતા સુરતમાં ડોક્ટર છે. મીડિયામાં યુક્રેન અને રશિયા વચ્ચે તણાવની પરિસ્થિતિ જોઈ માતાપિતાએ તેને સુરત બોલાવી લીધી હતી.
પૂજાએ કહ્યું કે, ઇન્ડિયન એમ્બેસી એ સૂચના આપી હતી કે ભારતીય નાગરિક યુક્રેન છોડી ભારત પરત આવી જાય. પરંતુ અમે જ્યારે ત્યાંના સ્થાનિક લોકોને અમે આ બાબતે પૂછ્યું ત્યારે તેઓએ યુદ્ધની વાતો વર્ષોથી ચાલતી આવી છે કોઈ પરિસ્થિતિ સર્જાશે નહીં એમ જણાવ્યું હતું. જો કે માતા પિતાના કહેવા મુજબ હું અને મારા અન્ય 8 સાથીઓ સુરત આવી ગયા હતા. અત્યારે ઓનલાઇન અભ્યાસ ચાલી રહ્યો હતો પરંતુ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ઇન્ટરનેટ બંધ થઈ જાય તેવી વાતો કરવામાં આવી રહી છે.જેથી અમારા મેડિકલ કરિયરને લઈને ટેન્શન છે.
[ad_2]
Source link






