[ad_1]

ખેડૂતો અને વિપક્ષના ઉહાપોહ પછી સરકારનો
નર્મદા કેનાલમાંથી સિંચાઇ માટે 31મી માર્ચ સુધી પાણી આપવાનું જાહેર કરાયું
ગાંધીનગર : ગુજરાતમાં ખેડૂત આગેવાનો તેમજ વિપક્ષના સભ્યોના ભારે ઉહાપોહ પછી રાજ્ય સરકાર ખેડૂતોને ઉનાળાની સિઝનમાં પ્રતિદિન છ કલાક વીજળી આપવા તૈયાર થઇ છે. ખેડૂતોને સમયસર પુરતી વીજળી મળતી નથી તેવી અનેક ફરિયાદો તેમજ વિધાનસભામાં કોંગ્રેસના દેખાવો અને ઉહાપોહ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે.
રાજ્યમાં ખેડૂતો વીજળીની સમસ્યાનો સામનો કરી રહ્યાં છે. હાલ વિધાનસભાનું સત્ર ચાલુ હોવાથી વિપક્ષોએ ખેડૂતોના પ્રશ્ને સરકારને આક્રમક રજૂઆતો પણ કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી. રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે રાજ્યમાં ખેડૂતોને વિના કાપ છ કલાક વીજળી આપવામાં આવશે.
ખેડૂતોને વીજળી માટે રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઇ દેસાઇ અને કૃષિમંત્રી રાઘવજી પટેલ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી જેમાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં ખેડૂતોને છ કલાક સુધી વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ખેડૂતોને નર્મદા કેનાલમાંથી સિંચાઇ માટે 31મી માર્ચ સુધી પાણી આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે પરિસ્થિતિ થાળે પડતાં ખેડૂતોને આગળ જતાં આઠ કલાક વીજળી આપવાનો પ્રયાસ કરાશે.
રાજ્યમાં ઉનાળાની શરૂઆત થઇ ચૂકી છે. હાલ ખેડૂતોને ખેતરમાં પાણીની જરૂર છે પરંતુ પુરતું પાણી નહીં મળતું હોવાની અસંખ્ય ફરિયાદો મળી રહી છે. જ્યાં બોરવેલથી સિંચાઇ થાય છે ત્યાં વીજળીની મુશ્કેલી છે.
રાજ્યના ખેડૂતો અલગ અલગ જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. સૌરાષ્ટ્રના રાજકોટ વિસ્તારમાં તો ખેડૂતોએ અર્ધનગ્ન થઇને માર્ગો પર દેખાવો પણ કર્યા હતા. કિસાન સંગઠનોએ આંદોલન શરૂ કરવાની ચિમકી પણ આપી છે. બનાસકાંઠાના ખેડૂતોની ફરિયાદ છે કે ઓછા વોલ્ટેજથી વીજ પુરવઠો મળતાં મીટર બળી જાય છે. આ જિલ્લામાં કેટલાક ખેડૂતોએ ધરણાં કર્યા છે.
ખેડૂતો અને વિપક્ષની સતત ફરિયાદોના જવાબમાં અગાઉ કૃષિમંત્રીએ કહ્યું હતું કે રાજ્યમાં કોલસાની તંગીના કારણે ખેડૂતોને પુરતા પ્રમાણમાં વીજળી મળતી નથી પરંતુ ખોટ પુરી કરવાના પ્રયાસો શરૂ કરાશે. કોંગ્રેસના વિરોધ પ્રદર્શન પછી સરકારને આજે બેઠક કરીને ખાત્રી આપવાની ફરજ પડી છે. જો કે કોંગ્રેસના ધારાસભ્યો અને કિસાન સંગઠનોએ ખેડૂતોને આઠ કલાક વીજળી આપવાની માગણી કરી છે.
[ad_2]
Source link






