[ad_1]

– જામનગર અને કાલાવડની ફાયર બ્રિગેડની ૨૭ કલાકની શોધખોળ પછી મૃતદેહ હાથ લાગ્યો
જામનગર તા ૧૪, જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નવાગામ પાસે આવેલા એક ચેકડેમમાં ગઈકાલે બપોરે નહાવા પડેલો યુવાન પાણીમાં ડૂબી ગયા પછી કાલાવડ ફાયર અને જામનગર ફાયરબ્રિગેડની ટીમ દ્વારા ભારે શોધખોળ પછી આખરે આજે બપોરે તેનો મૃતદેહ સાંપડયો છે, અને આ મામલે કાલાવડ ગ્રામ્ય પોલીસ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશનો વતની અને હાલ કાલાવડ તાલુકાના નવા ગામમાં રહેતા ખેડૂત મુકેશભાઈ વિઠ્ઠલભાઈ સરડવા ની વાડી માં રહીને ખેતી કામ કરતો તેજારામ ગોવિંદભાઈ રાઠોડ નામનો ૨૩ વર્ષ નો યુવાન ગઇકાલે બપોરે એકાદ વાગ્યાના અરસામાં નવાગામના ચેકડેમના પાણીમાં નહાવા પડ્યો હતો, અને એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઇ જવાથી લાપતા બન્યો હતો. જેને લઇને ભારે દોડધામ થઈ હતી.
આ બનાવ અંગે કાલાવડની ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતાં કાલાવડના ફાયર શાખાના ચાર જવાનો તરત જ ચેકડેમ પર દોડી ગયા હતા, અને લાપતા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. રાત્રીના આઠેક વાગ્યા સુધી શોધખોળ કર્યા પછી તેનો પત્તો નહીં મળતાં આજે સવારે ફરીથી જામનગર અને કાલાવડની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.
જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખાના કામિલ મહેતા, અને ભરત ગોહેલ સહિતના ચાર જવાનો પણ ફાયર શાખાની રેસ્ક્યુ બોટ લઈને પહોંચ્યા હતા, અને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન છેક બપોરે ચાર વાગ્યે ચેકડેમના પાણીની અંદરના કાદવમાં ખૂપી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો.
જે મૃતદેહ પોલીસને સુપ્રત કરી દેતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.
[ad_2]
Source link






