[ad_1]

– માત્ર હારતોરા કરીને લગ્ન કર્યા હતા
– પોતાના અને પુત્રીના ભવિષ્ય માટે મુંબઈ-સુરતની મિલકત પોતાના નામે કરાવ્યા બાદ દુકાન ખરીદવા જીદ કરતા પતિએ હત્યા કરી હતી
સુરત, : સુરતના કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટીમાં મહેસાણાના યુવાન સાથે લીવ ઈનમાં રહેતી નેપાળી મહિલાની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા ખુદ તેના પતિએ જ કરી હતી. ત્રણ વર્ષ અગાઉ સોશીયલ મીડિયા થકી સંપર્કમાં આવેલી સ્નેહલતા સાથે પ્રકાશે માત્ર હરતોરા કરી લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી જન્મી હતી. પુત્રીના જન્મ બાદ સ્નેહલતા પોતાના અને પુત્રીના ભવિષ્યની સલામતી માટે ચિંતિત હતી અને તેણે મુંબઈ-સુરતની મિલકત પોતાના નામે કરાવ્યા બાદ દુકાન ખરીદવા જીદ કરતા પ્રકાશે તેની હત્યા કરી દીધી હતી.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના કાપોદ્રાની ગૌતમ પાર્ક સોસાયટી મકાન નં.158 ના પહેલા માળે મૂળ મહેસાણા બેચરાજીના મોટપના યુવાન પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે લીવ ઈનમાં રહેતી મૂળ નેપાળની સ્નેહલતા શંકરભાઈ બનવારી ( ઉ.વ.30 ) ની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલી લાશ ગત બપોરે મળી આવી હતી. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશ રોજ બપોરે વિડીયો કોલ કરી મહિલા સાથે વાત કરતો હતો. જોકે, ગત બપોરે સ્નેહલતાએ ફોન નહીં ઉંચકતા પાડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે તેની લાશ પાસે તેમની એક વર્ષની બાળકી ખુશી બેસેલી હતી. બનાવની જાણ થતા દોડી ગયેલી કાપોદ્રા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા પ્રકાશની જ ઉલટતપાસ શરૂ કરી હતી.
પુછપરછ દરમિયાન ભાંગી પડેલા પ્રકાશે ગુનો કબુલતા જણાવ્યું હતું કે ત્રણ વર્ષ અગાઉ તે મૂળ નેપાળની પણ મહારાષ્ટ્રમાં રહેતી સ્નેહલતા સાથે સોશીયલ મીડિયા થકી સંપર્કમાં આવ્યો હતો. બાદમાં તેમણે માત્ર હારતોરા કરી લગ્ન કર્યા હતા અને મૈત્રી કરાર કર્યા વિના સાથે રહેવા લાગ્યા હતા. એક વર્ષ અગાઉ પુત્રી ખુશીના જન્મ પછી સ્નેહલતાને પોતાના અને પુત્રીના ભવિષ્યની ચિંતા થવા લાગી હતી.આથી જયારે પ્રકાશ પાસે ગામની જમીન વેચતા રૂ.45 લાખ આવ્યા ત્યારે તેમાંથી રૂ.11 લાખનો એક ફ્લેટ મુંબઈમાં સ્નેહલતાએ પોતાના નામે લેવડાવ્યો હતો. ઉપરાંત, સુરતમાં હાલ જે ફ્લેટમાં રહેતા હતા તે ફ્લેટ પણ રૂ.25 લાખમાં સ્નેહલતાએ પોતાના નામે લેવડાવ્યો હતો.
તેમ છતાં ઓનલાઇન પ્રિન્ટર અને કાર્ટિજનો વેપાર કરતી સ્નેહલતા વેપારમાં કમાયેલા રૂ.4 થી 5 લાખ પોતાના બેન્ક એકાઉન્ટમાં હોવા છતાં પ્રકાશ પાસે વેપાર માટે એક દુકાન લેવાની જીદ કરતી હતી. માત્ર રૂ.17 હજારના પગારમાં નોકરી કરતા પ્રકાશે તેને સમજાવી હતી કે બધું તારા નામે કરી દઈશ તો મારુ શું ? જોકે, સ્નેહલતા માનવા તૈયાર નહોતી અને તેથી તેમની વચ્ચે ઝઘડા થતા હતા. સ્નેહલતાની સતત માંગણીને પગલે કંટાળેલા પ્રકાશે ગત સવારે સ્નેહલતા પૂજા કરતી હતી ત્યારે જ પાછળથી ગળાના આગળના ભાગે ચપ્પુ ફેરવી તેની હત્યા કરી હતી અને બાદમાં બપોરે ફોન નથી ઉપાડતી તેવી નાટક કરી પોલીસને ગુમરાહ કરી હતી. કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી પ્રકાશની ધરપકડ કરી હતી.
જેના ભવિષ્યની ચિંતામાં સ્નેહલતાએ જીવ ગુમાવ્યો તે પુત્રી જાગતી હોત તો પ્રકાશ હત્યા નહીં કરતે
સુરત, : સ્નેહલતાએ પોતાના અને પુત્રી ખુશીના ભવિષ્યની ચિંતામાં બે મિલ્કત પોતાના નામે લેવડાવ્યા બાદ દુકાન ખરીદવા જીદ કરતા પ્રકાશે તેની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જોકે, પ્રકાશે પોલીસને જણાવ્યું હતું કે જયારે તેણે સ્નેહલતાની હત્યા કરી ત્યારે પુત્રી ખુશીને નવડાવી સુવડાવી દીધી હતી. જો તે જાગતી હોત તો તેની સામે જોઈને તેને દયા આવતે અને તે સ્નેહલતાની હત્યા નહીં કરતે.
[ad_2]
Source link






