[ad_1]

– વાસદ-બગોદરા હાઇવે ઉપર આવેલા બોરસદ તાલુકાના
– મરણ પામેલી ગાયોના શબ પોસ્ટમોર્ટ માટે પશુ દવાખાનામાં મોકલી દેવામાં આવ્યાં
આણંદ : આણંદ જિલ્લાના વાસદ-બગોદરા હાઈવે માર્ગ ઉપર આવેલ બોરસદ તાલુકાના કાલોર તલાવડી નજીકથી પસાર થતાં માર્ગની સાઈડમાંથી એક સાથે ત્રણ ગાય મૃત હાલતમાં મળી આવતા ભારે ચકચાર મચી છે. હાઈવે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલ કોઈ વાહનમાંથી પડી જવાના કારણે આ ગાયોનું મૃત્યું થયું કે પછી કોઈ વાહનની અડફેટે ગાયો મૃત્યુ પામી તે અંગેનું રહસ્ય અકબંધ રહેવા પામ્યું છે. હાલ તો બોરસદ શહેર પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બોરસદની કાલોર તલાવડી પાસેના રોડની સાઈડમાં ત્રણ ગાયો મૃત હાલતમાં પડી હોવાની માહિતી ગૌવંશ રક્ષકના સભ્યોને મળતા ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સ્થાનિકોએ તપાસ કરતા થોડા-થોડા અંતરે ત્રણ ગાયો મૃત હાલતમાં પડી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી ગૌરક્ષકના સભ્યો દ્વારા તુરંત જ બોરસદ શહેર પોલીસ મથકમાં જાણ કરાઈ હતી. પોલીસ પણ તુરંત જ ઘટના સ્થળે દોડી આવી હતી અને મરણ ગયેલ ગાયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે પશુદવાખાનામાં મોકલી આપ્યા હતા. બોરસદ શહેર પોલીસે સંજયભાઈ ઉર્ફે મનહરભાઈ ઠાકોરની ફરિયાદના આધારે ગુનો નોંધી કયા સંજોગોમાં ગાયોના મૃત્યું નીપજ્યાં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
કેટલીક ઇજાગ્રસ્ત ગાયો રાત્રે ધર્મજ તરફ જતી રહી : સ્થાનિકો
સ્થાનિકોના જણાવ્યા મુજબ મરણ ગયેલ ગાયોની સાથે કેટલીક ગાયો ઈજાગ્રસ્ત પણ થઈ હતી. આ ગાયો રાત્રિના સુમારે ચાલતી-ચાલતી ધર્મજ તરફ નીકળી ગઈ હતી. ગાયો ભરીને પસાર થઈ રહેલ કોઈ વાહનમાંથી નીચે પટકાવાના કારણે આ ગાયોના મૃત્યુ નીપજ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. જો કે પોસ્ટમોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ જ ગાયોનું મૃત્યું કયા કારણોસર થયું તે અંગે સ્પષ્ટતા થઈ શકશે તેમ પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.
[ad_2]
Source link






