[ad_1]

BSFના આઈજી સહિતના સિનિયર અધિકારીઓ ક્રિક વિસ્તારમાં
હરામી નાળાના ઝીરો પોઇન્ટ પાસે ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરી હતી, અન્ય માછીમારો ક્રિકમાં છૂપાયાની શંકા
ગાંધીનગર : ગુજરાતની સંવેદનશીલ બોર્ડર પૈકીના હરામી નાળામાં પાકિસ્તાની ઘૂસણખોરો તેમજ બીએસએફ વચ્ચે છેલ્લા 24 કલાકથી શરૂ કરાયેલું કમાન્ડો ઓપરેશન આજે બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીએ કુલ છ માછીમારોને પડક્યા છે અને શંકા છે કે બીજા માછીમારો ક્રીક વિસ્તારમાં છૂપાયેલા છે તેથી બીએસએફના ઉચ્ચ અધિકારીઓ એ વિસ્તારમાં પહોંચ્યા છે.
બીએસએફએ હરામી નાળા વિસ્તારમાંથી 11 જેટલી પાકિસ્તાની બોટ કબજે કરી માછીમારો અને શંકાસ્પદોને શોધવા ઓપરેશન કર્યું છે. અત્યાર સુધીમાં 6 માછીમારો પકડાયા છે અને તેમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે.
બીએસએફના ટોચના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે પાકિસ્તાની માછીમારોએ હરામી નાળાના ઝીરો પોઈન્ટ પાસેથી બીજી તરફ ઘૂસણખોરી કરવામાં આવી હોવાની બાતમીના પગલે તેઓને પકડી લેવા માટે કમાન્ડોને એરફોર્સના હેલકોપ્ટરની મદદ વડે ઉતારવામા આવ્યા છે. આ કમાન્ડો ઓપરેશન હજી ચાલુ છે.
બીએસએફ દ્વારા ક્રીકના 300 કિમી વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રખાયું છે. ગઈકાલે રાત સુધીમાં 11 બોટ ઝડપાઈ હતી.જયારે દુર્ગમ ક્રીક વિસ્તારમાં છુપાયેલા પાક માછીમારોને શોધવાના ઓપરેશન દરમ્યાન છ માછીમારો ઝડપાયા હતા. તેમની બોટમાંથી માછીમારીની સામગ્રી મળી આવતા તે પણ જપ્ત કરાઈ છે.
બીએસએફના ગુજરાત ફ્રન્ટાયરના આઈજી જીએસ મલિક તથા બીએસએફના ડીઆઈજી (ઓપેરશન) એમ એલ ગર્ગ તથા સિનિયર અધિકારીઓ હાલમાં હરામી નાળા વિસ્તારમાં સર્ચ ઓપરેશનમાં જોડાયેલા છે. બીએસએફ દ્વારા ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરની મદદ વડે સશસ્ત્ર કમાન્ડોની જુદી જુદી ત્રણ ટીમો પણ હરામી નાળાના વિસ્તારમાં ઉતારવામા આવ્યા છે.
ખાસ કરીને છેલ્લા એક સપ્તાહ દરમ્યાન ગુજરાતના માછીમારો સૌરાષ્ટ્ર તથા કચ્છની ભારતીય જળ સીમાની અંદર માછીમારી કરી રહ્યા હતા તે વખતે પાકિસ્તાનની મરીન સિકયુરિટી એજન્સી દ્વારા ગુજરાતની 15 બોટ તથા 90 જેટલા માછીમારોને પકડી લેવાયા હતા.
હજુયે પાક મરીન્સ દ્વારા આક્રમક રીતે ગુજરાતના માછીમારોને અપહરણ કરીને લઈ જવાતા કોસ્ટ ગાર્ડ તથા કચ્છમાં બીએસએફ દ્વારા એલર્ટ જારી કરવામાં આવ્યું છે. હજી કેટલા પાકિસ્તાની ક્રીક વિસ્તારમાં છૂપાયા છે તેની તપાસ અને શોધખોળ કમાન્ડોને સાથે રાખીને ચાલી રહી છે.
[ad_2]
Source link






