[ad_1]

જામનગર, તા. 04 ડિસેમ્બર 2021 શનિવાર
જામનગર મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા 7 મહિના પહેલા મૃત્યુ પામેલી વ્યક્તિને તાજેતરમાં વેક્સિન નો બીજો ડોઝ અપાયો હોવાનું સર્ટિફિકેટ ઇસ્યુ કરતાં ભારે હોબાળો મચી ગયો છે. વિપક્ષી કોર્પોરેટર એ સરકારનો એકસો ટકાનો લક્ષ્યાંક પુરો કરવા માટે સર્ટીફીકેટ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે કે કેમ? તે અંગેના ગંભીર સવાલો ઉભા કરી કમિશનર સમક્ષ તપાસની માંગણી કરી છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર ના વોર્ડ નંબર 12માં મોરકંડા રોડ પર બાલનાથ વિસ્તારમાં રહેતા પરમાર જયંતી લાલ ભાઈ કે જે તારીખ 30.4.2021ના દિવસે અવસાન પામ્યા હતા તેમ છતાં પણ જામનગરના ઘાંચીવાડ વિસ્તારમાં આવેલા આરોગ્ય કેન્દ્ર માં ફરજ પરના કર્મચારી ઋતુબેન રમેશભાઈ ભેંસદડીયા દ્વારા જયંતીભાઈ પરમારે વેક્સિનનો બીજો ડોઝ તારીખ 30.11.2021 ના રોજ મેળવેલો છે, તેવું બીજા ડોઝ નું સર્ટિફિકેટ તેમના ઘેર પહોંચાડયું હતું. જેથી પરિવારજનો આશ્ચર્યમાં મૂકાયા હતા.
જેમનું 30.4.21 ના દિવસે અવસાન થયું છે તેઓ 30.11.21 ના દિવસે વેક્સિનેશન કેવી રીતે કરાવે. તે અંગેના સવાલો ઉભા થયા છે. જે સમગ્ર મામલો મહાનગરપાલિકાના વિરોધપક્ષના પૂર્વ નેતા અસલમ ખીલજીએ કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો, અને વિસ્તૃત આવેદન પત્ર પાઠવી સરકારનો વેક્સિનેશન નો 100 ટકા નો ખોટો આંકડો દર્શાવવા માટે આ સર્ટિફિકેટ કૌભાંડ આચરવામાં આવ્યું છે કે કેમ? તેવા સવાલો ઊભા કરીને સમગ્ર મામલાની ઉંડાણપૂર્વકની તપાસ કરવા તેમજ જવાબદાર અધિકારી અથવા કર્મચારી સામે યોગ્ય પગલાં ભરવા માંગણી કરી છે.
મૃતક વ્યક્તિને વેક્સિનેશન સર્ટિફિકેટ અપાયા ના મામલાએ જામનગર મહાનગરપાલિકાના વર્તુળમાં અને ખાસ કરીને આરોગ્ય વિભાગમાં ભારે હલચલ મચાવી છે.
[ad_2]
Source link






