[ad_1]

– શિયાળાના વસાણામાં સુરતીઓને મોંઘવારી અને ભેળસેળની બીક
– લોકોની ડિમાન્ડ જોઈ કરિયાણાની દુકાનો વસાણા બનાવવા માટેની સામગ્રીનું થઈ રહ્યું છે વેચાણ
સુરત, તા. 05 જાન્યુઆરી 2022 બુધવાર
કોરોના સામે ઈમ્યુનીટી વધારવા માટે સુરતીઓ શિયાળાના વસાણા પર ભાર મુકી રહ્યાં છે પરંતુ બજારમાં વેચાતા વસાણાનો ભાવ વધુ હોવા ઉપરાંત લોકોને ભેળસેળની પણ બીક લાગી રહી છે. જેના કારણે સુરતીઓમાં ઘરે વસાણા બનાવવાના ટ્રેન્ડમાં વધારો થઈ રહ્યો છે. સુરતીઓ શિયાળાના વિવિધ વસાણા ઘરે બનાવતાં હોવાથી પરફેક્ટ માપ સાથેની સામગ્રીનું વેચાણ ગાંધી- કરિયાણાની દુકાને થઈ રહ્યું છે જેના કારણે સામગ્રીનું વેચાણ કરનારા લોકોની આર્થિક ઈમ્યુનીટી વધી રહી છે.
શિયાળાની શરૃઆત સાથે જ સુરતમાં સાલમપાક, મેથીપાક, ગુદંરપાક, અખરોટ પાક, આદુપાક, અદડિયા પાક જેવા વસાણાનું સેવન કરતાં થયાં છે. તેમાં પણ હાલમાં કોરોના અને ઓમિક્રોનનું સંકમણ વધ્યું હોવાથી લોકો પોતાની ઈમ્યુનીટી વધારવા માટે આવા પ્રકારના પાક ખાવાનો આગ્રહ રાખી રહ્યાં છે. જોકે, છેલ્લા કેટલાક વખતથી સુરતના આવા વસાણાનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ ભાવમાં સતત ઉછાળો આવી રહ્યો છે તેથી લોકોને આ વસાણા મોંઘા લાગી રહ્યાં છે. આ ઉપરાંત કેટલાક વસાણા બનાવનારા આવા વસાણામાં ઓછી માત્રામાં નંખાતી પણ મોંઘી છતાં ઉપયોગી વસ્તુઓ નાંખતા નથી તેની જગ્યાએ અન્ય વસ્તુઓ નાંખતા હોવાની પણ ફરિયાદ વધી છે. જેના કારણે સુરતીઓ ઘરમાં શિયાળાના વસાણા બનાવવા માટેનો આગ્રહ રાખી રહ્યાં છે.
મુળ સુરતી ગણાતી જ્ઞાતિઓમાં વર્ષોથી કોઈ પણ પ્રકારના શિયાળાના વસાણા ઘરે બનાવવાનો ટ્રેન્ડ ચાલતો આવ્યો છે. જેના કારણે આ વસાણા બનાવવા માટેની સામગ્રીનું ચોક્કસ માપ તેમની પાસે છે. પરંતુ જે લોકો ઘરે આવા વસાણા બનાવવા માગે છે તેવા લોકો માટે કરિયાણા-ગાંધીની કેટલીક દુકાનદારો મદદરૃપ થઈ રહ્યા છે.

અડાજણ હની પાર્ક રોડ પર વસાણાની સામગ્રીનું વેચાણ કરનારા ભરતભાઈ ગાંધી કહે છે, અમારે ત્યાં વર્ષોથી સાલમપાક, મેથીપાક, ગુંદરપાક, અદડિયા પાક, ખજુરપાક જેવા વસાણા બનાવવા માટેની સામગ્રી ચોક્કસ માપ સાથે આપવામા આવે છે. જુદી જુદી 32 સામગ્રી સાથે સાલમપાક બનાવવા માટે સામગ્રી અમારે ત્યાં મળે છે. આ સામગ્રી સાથે અમે જે રીત આપીએ છીએ તે પ્રકારે લોકો ઘરે સાલમપાક બનાવે તો તેમને સસ્તો અને શુધ્ધ બની રહે છે.
સાલમપાકની સામગ્રી લઈ જનારા રેખાબેન કહે છે, અમે છેલ્લા બે વર્ષથી આ પ્રકારની સામગ્રી લઈ જઈએ છીએ અને સારો માવો વાલીને ઘરે બનાવીએ છે તે સાલમપાક બજારમાં મળે તેવો જ ટેસ્ટ આવે છે. આ ઉપરાંત અન્ય વિભુતીબેન કહે છે, અમે પહેલી વખત આ પ્રકારની સામગ્રી લઈ રહ્યાં છે જો તેનું સારૃ પરિણામ આવે તો બજારમાં મળતા વસાણા કરતાં અમે પણ ઘરે બનાવવેલા વસાણા ખાઈશું.
[ad_2]
Source link






