ડાંગ, વાંસદા, ધરમપુર, કપરાડા સહિતના આદિવાસી વિસ્તારમા મોટા ડેમોના નિર્માણ અને સ્થળાંતરના મુદ્દે પ્રવર્તતી અફવાઓથી, પ્રજાજનોને ગેરમાર્ગે નહીં દોરાવાની રાજ્યના કલ્પસર અને મત્સ્યોદ્યોગ (સ્વતંત્ર હવાલો) નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરીએ પુનઃ અપીલ કરી હતી.

સિંચાઇ તથા પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહેલા આદિવાસી વિસ્તારોમા દસ થી પંદર મીટરોના મોટા ચેકડેમો બનાવીને, આ વિસ્તારની પાણીની જરૂરિયાત પૂરી કરવા માટે રાજ્ય સરકાર પ્રયાસરત છે તેમ જણાવતા મંત્રીશ્રીએ, પ્રાકૃતિક ખેતીની સફળતા માટે સૌને સહિયારા પ્રયાસોની હિમાયત કરી હતી. શ્રી જીતુભાઈ ચૌધરીએ પ્રાકૃતિક ખેત ઉત્પાદનોની વધતી માંગ અને મૂલ્યનો લાભ ઉઠાવી, જંગલની વનસ્પતિ, કંદમૂળ, ફળફૂલનુ માહાત્મ્ય સમજીને તેનો ઉપયોગ વધારવા સાથે સ્વસ્થ સમાજ નિર્માણની દિશામા સૌને આગળ વધવા અપીલ કરી હતી.
રાજ્યમા પડતા ધોધમાર વરસાદના વહી જતા નીર ને નાથી, ફરીથી જે તે વિસ્તારની જમીનમા જ રોકીને, જમીનને જળધર બનાવવા સાથે, હયાત પાણીના સ્ત્રોતોની સાફ સફાઈ, ડિસિલ્ટિંગ, તથા નવા જળસંગ્રહ માટેના સ્ટ્રકચરો બનાવી, જળ મંદિરોની જાળવણી સાથે, પ્રજાજનોમા વ્યાપક પણે જળસંચય બાબતે જાગૃતિ કેળવાય, તેવા બહુવિધ આશય સાથે રાજ્ય સરકારે ફરી એકવાર ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨’ હાથ ધર્યું છે, તેમ મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ભીસ્યા ગામે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા વર્ષના કાર્યક્રમનો શુભારંભ કરાવતા મંત્રીશ્રીએ, રાજ્ય સરકાર દ્વારા લોક સહયોગથી રાજ્ય સમસ્તમા આ અભિયાનનો શુભારંભ થઈ રહ્યો છે, તેમ જણાવ્યુ હતુ. દરમિયાન સ્વૈચ્છીક, સામાજિક, અને શૈક્ષણિક સંસ્થાઓના સહયોગથી હાથ ધરાનારા આ કાર્યક્રમની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ ગત કોરોના કાળ દરમિયાન, આર્થિક સંકડામણ વચ્ચે પણ રાજ્ય સરકારે, જળ સંગ્રહના ૧૫ હજાર ૨૧૦ કામો પૂર્ણ કર્યા છે, તેમ જણાવ્યુ હતુ. કોરોના સંક્રમણના કપરા કાળમા આંશિક નિયંત્રણોની સ્થિતિ વચ્ચે પણ, સોશ્યલ ડિસ્ટન્સિંગના પાલન સાથે, રાજ્ય સરકારે ૨૬ લાખ ૪૬ હજાર માનવ દિન રોજગારી પૂરી પાડી છે. જેનાથી ૧૯ હજાર ૭૧૭ લાખ ઘનફૂટ જળસંગ્રહ ક્ષમતા વધવા પામી છે, તેમ ઉમેર્યું હતુ.
છેલ્લા ચાર વર્ષો દરમિયાન રાજ્યભરમા જળસંગ્રહ માટેના ૫૬ હજાર ૬૯૮ કામો પૂર્ણ થયા છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ, રાજ્યના ૩૩ જિલ્લાઓમા ૨૧ હજાર ૪૦૨ તળાવો ઊંડા કરાયા છે. જેનાથી જળસંગ્રહ શક્તિમા ૬૧ હજાર ૭૮૧ લાખ ઘનફૂટનો વધારો થયો છે, તેમ પણ જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાની ચર્ચા કરતા સને ૨૦૨૨ના સુજલામ સુફલામ જળ અભિયાન દરમિયાન, ચેકડેમ અને સંગ્રહ તળાવ રિપેરિંગ તથા ઊંડા કરવાના કુલ રૂ.૬૪૮.૯૭ લાખના ૭૩ કામો હાથ ધરવાનુ આયોજન કરવામા આવ્યુ છે. જેના થકી ૨૫૦.૫૧ લાખ લિટર પાણીનો સંગ્રહ થતા, આશરે ૪૮૩ હેક્ટર કરતા વધુ વિસ્તારને સિંચાઇનો લાભ મળશે, તેમ પણ તેમણે જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લાની વિભાગવાર કામગીરીની રૂપરેખા આપતા મંત્રીશ્રીએ, આ અભિયાન અંતર્ગત જળ સંપતિ વિભાગ દ્વારા જિલ્લામા ચેકડેમ અને સંગ્રહ તળાવ રિપેરિંગ તથા ઊંડા કરવાના કુલ રૂ.૬૪૮.૯૭ લાખના ૭૩ કામો, પાણી પુરવઠા વિભાગ દ્વારા એરવાલ્વ રિપેરિંગ, તથા સંપ, ટાંકાની સાફસફાઈના કુલ રૂ.૨.૮૫ લાખના ૨૭ કામો, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મનરેગા હેઠળ ચેકડેમ ડિસિલ્ટિંગ, અને ખેત તલાવડીના કુલ રૂ.૧૦૮.૬૦ લાખના ૮૨ કામો, ડાંગના ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા નવીન ચેકડેમો બનાવવાના કુલ રૂ.૭૭.૧૦ લાખના ૧૬ કામો મળી, કુલ રૂ.૮૩૭.૫૨ લાખના ખર્ચે ૧૯૮ કામો હાથ ધરાનાર છે, તેમ પણ ઉમેર્યું હતુ.
સને ૨૦૧૮થી ગુજરાત રાજ્યમા શરૂ કરાયેલા આ ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ અંતર્ગત ડાંગ જિલ્લામા આજદિન સુધી ૬૫૪ જેટલા જળ સંચયના કામો હાથ ધરવામા આવ્યા છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ, ‘વિકાસ’ ત્રણ અક્ષરનો શબ્દ માત્ર નથી. ‘વિકાસ’ તો અનુભૂતિની બાબત છે. ગુજરાતમા વાતો નહી, વાસ્તવિકતાને વરેલી સરકાર, નિષ્ઠાપૂર્વક જનસેવાના અનેક પ્રકલ્પોનો નક્કરતાપૂર્વક અમલ કરી રહી છે. જેની પ્રતીતિ જન જનને થઈ રહી છે, તેમ તેમણે પ્રજાજોગ સંદેશામા જણાવ્યુ હતુ.
ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંગળભાઈ ગાવિતે તેમના પ્રજાજોગ ઉદ્દબોધનમા જળ સંચયના કામોનુ મહત્વ ઠેર ઠેર સ્વીકારાઇ રહ્યુ છે ત્યારે સરકારની દીર્ઘદૃષ્ટિને કારણે આપણે ટેન્કર યુગને તિલાંજલિ આપી ચૂક્યા છે તેમ જણાવ્યુ હતુ. ભવિષ્યના પાણીદાર આયોજન સાથે પ્રજાજનોની તરસ છિપાવવાનુ અભિયાન એટ્લે ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ તેમ તેમણે ઉમેર્યું હતુ.
પ્રાસંગિક ઉદ્દબોધન કરતા ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જળ સંચયના જુદા જુદા કામો સહિત વિકાસના કામોમા પ્રજાજનોની ભાગીદારી આવશ્યક છે તેમ જણાવ્યુ હતુ. સાર્વજનિક માલ મિલકતની જાળવણીમા પણ પ્રજાકીય જાગૃતિ અનિવાર્ય છે તેમ જણાવતા ધારાસભ્યશ્રીએ સરકારી કામો અને વિકાસમા પોતિકાપણાની ભાવના કેળવવાની પણ આ વેળા હાંકલ કરી હતી.
ભિસ્યા સ્થિત નવયુગ વિદ્યા મંદિરના પરિસરમા યોજાયેલા ‘સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨’ના શુભારંભ કાર્ય પૂર્વે મંત્રીશ્રીએ ભિસ્યા ગામની સીમમા આવેલા ચેકડેમમા માટીખનન કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.
કાર્યક્રમમા આહવા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી કમળાબેન રાઉત, જિલ્લા પંચાયત સદસ્ય મુરલીભાઈ બાગુલ, સામાજિક કાર્યકર શ્રી હીરાભાઈ રાઉત, ભાજપા પ્રમુખ શ્રી દશરથભાઈ પવાર, મહામંત્રી શ્રી હરિરામ સાવંત, સ્થાનિક સરપંચ સહિતના પદાધિકારીઓ ઉપરાંત ડાંગ કલેક્ટર ભાવિન પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.વિપિન ગર્ગ, પ્રાંત અધિકારી આર.એમ. જાલંધરા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી યોગેશ જોશી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક કે.જે.ભગોરા, સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર વિનીત પટેલ સહિતના પ્રશાસનિક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.









