
સાકાર વાંચન કુટીર આવધા મુકામે પુસ્તક પ્રદર્શન યોજાયું સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તમામ વાંચન સાહિત્ય ઉપલબ્ધ બન્યું છે.
સાકાર જીવન વિકાસ ટ્રસ્ટ મુંબઈ તથા ઉમિયા સોશ્યલ ટ્રસ્ટ વલસાડના સૌજન્યથી નિર્મિત સાકાર વાંચન કુટીર આવધા મુકામે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે પુસ્તક પ્રદર્શન યોજાયું.
આજના મોબાઇલ યુગમાં વિહરતું યુવાધનને પુસ્તકો તરફ વાળવા માટે , આ યુવાનોને વિવિધ પ્રકારના પુસ્તકોનો પરિચય મળી રહે, એમનામાં વાંચનની ભૂખ જાગે, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પરીક્ષા માટે ઉપયોગી સાહિત્ય સરળતાથી ઉપલબ્ધ થાય એવા હેતુસર સાકાર વાંચન કુટીર આવધા મુકામે 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન નિમિત્તે “પુસ્તક પ્રદર્શન” યોજવામાં આવ્યું. આ પુસ્તક પ્રદર્શનમાં વિવિધ પ્રકારના પુસ્તકો જેમાં સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી પુસ્તકો, બાળકોમાં સંસ્કારનું સિંચન થાય એવા પુસ્તકો, નવલિકા નવલકથા, બાળવાર્તા, પ્રવાસ વર્ણનો તથા વિદ્યાર્થીઓની વાંચન ભૂખ સંતોષવા વિવિધ પ્રકારના પુસ્તકો મૂકવામાં આવ્યા હતા.
પુસ્તક પ્રદર્શનમાં ગામના સરપંચ જયનાબેન એસ. મોકાસી, માજી તાલુકા પંચાયત સભ્ય સુરેશભાઈ આર. મોકાસી, સી.આર.સી કૉ. ઓર્ડીનેટર ભાવિકાબેન પટેલ , ગામના આગેવાનો, યુવાનો આવધા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી પાયલબેન પટેલ , શાળા પરિવારના તમામ શિક્ષક મિત્રો, શાળાના વિદ્યાર્થીઓ તથા ગામમાં ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
ગામના સરપંચ શ્રીએ સાકાર વાંચન કુટીરને ગામનું ઘરેણું ગણાવ્યું હતું અને આ વાંચન કુટીરમાં અવારનવાર આવા પુસ્તક પ્રદર્શન યોજાય એવી અપેક્ષા રાખી હતી. ગામના ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાકાર વાંચન કુટીરનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.
પુસ્તક પ્રદર્શન માટે સાકાર વાંચન કુટીરના સંચાલક દીપેશભાઈ દળવી, વિજયભાઈ દળવી તથા સાકર વાંચન કુટીરના કમિટી સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
પુસ્તક પ્રદર્શનનું સંપૂર્ણ આયોજન રેઈન્બો વોરિયર્સ કોર્ડીનેટર શંકર પટેલ તથા રેઈન્બો વોરિયર્સ ધરમપુરના સભ્યોએ કર્યું હતું





