[ad_1]

જામનગર, તા. 1 ડિસેમ્બર 2021 બુધવાર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખટિયા ગામના પાટિયા પાસેથી એક મહિલા અને તેની માસુમ પુત્રી નું કારમાં અપહરણ કરી જવાયું હતું, અને તેણીના પતિ અને બે સાગરીતોએ મળીને કારમાં અપહરણ કરી જઇ જેતપુરમાં કરેલો ભરણપોષણનો કોર્ટ કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે મામલો લાલપુર પોલીસ મથકે પહોંચ્યા પછી પોલીસે આરોપી પતિને અટકાયતમાં લઇ લીધો છે.
જામજોધપુરમાં ગંજી વાડી સહજાનંદ શેરી નંબર-1મા પોતાના પિતાના ઘેર રહેતી હિરલબેન (ઉં.વ.31) કે જેને તેના પતિ ગુંદા ગામમાં રહેતા મુકેશ વજસી પિપરોતર સાથે લગ્ન થયા હતા, જે લગ્ન થકી એક પુત્રીનો જન્મ થયો હતો. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની રીસામણે માવતરે બેઠેલી છે.
એટલું જ માત્ર નહીં પોતાના પતિ સામે જેતપુરની કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો છે. જે કેસ પાછો ખેંચવા માટે પતિ મુકેશ વજશી પિપરોતર તેના અન્ય બે સાગરીતો સાથે એક કારમાં બેસીને આવ્યો હતો, અને લાલપુરના ખટીયા ગામ પાસેથી હિરલબેન અને તેની પુત્રી નું કારમાં બેસાડી અપહરણ કર્યું હતું, અને માથામાં લાકડાનો ધોકો ફટકારી કોર્ટ કેસ પાછો ખેંચવા દબાણ કરી જાનથી મારી નાખવાની ધમકી ઉચ્ચારી હતી.
આખરે આ મામલો લાલપુર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો, અને લાલપુર પોલીસે હિરલબેનની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા પછી તેની ફરિયાદના આધારે પતિ અને તેના બે સાગરીતો સામે અપહરણ અને મારકૂટ અંગેનો ગુનો નોંધ્યો હતો. જે ગુનાના અનુસંધાને પોલીસે પતિ મુકેશ વજશી પિપરોતર ને અટકાયતમાં લઇ લીધો છે, ત્યારે તેના અન્ય બે સાગરીતો ની શોધખોળ હાથ ધરી છે.
[ad_2]
Source link






