[ad_1]

અમદાવાદ, તા. 02 માર્ચ, 2022, બુધવાર
અમદાવાદ શહેરમાં દહેજની માગણી સહિતની વિવિધ બાબતોને લઈ પતિ દ્વારા પત્નીને માર મારીને ઘરમાંથી કાઢી મુકવાની 3 વિભિન્ન ઘટનાઓ બની છે.
વેજલપુરમાં લગ્નનના પાંચ વર્ષમાં જ સંસાર પડી ભાગ્યો: પાણી કનેક્શનના રૂપિયાની માગણી કરતાં પતિએ માર મારી કાઢી મૂકી
શહેરના ફતેવાડી વિસ્તારમાં જુમ્મા મસ્જિદ પાસે મકાન નં-84 બાગેબદર સોસાયટી ખાતે રહેતા મુસ્કાનબાનુએ પોતાના પતિ ઉસ્માન ઉર્ફે કાલીયા હનીફભાઈ (ઉં-24) વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. તે બંનેના લગ્નને 5 વર્ષ જેટલો સમય થયો છે અને તેમને 2 બાળકો પણ છે. તેમના પતિ છૂટક મજૂરીકામ કરે છે. લગ્નના 3 મહિના જેટલો સમય સરખી રીતે રાખ્યા બાદ પતિ દ્વારા ઘરકામમાં નાના-મોટા વાંક કાઢીને માર મારવામાં આવતો હતો. આ ઉપરાંત કાલીયાએ પત્નીને ખર્ચા પોતાની માતા (પિયર) પાસેથી લેવા માટે કહી દીધેલું હતું. 10 મહિના તેમણે પતિ પાસે ઘરખર્ચની માગણી કરી એટલે પતિએ તેમને બોલાચાલી બાદ બંને બાળકો સાથે પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મુક્યા હતા. જોકે પરિવારની સમજાવટ બાદ તેઓ પાછા ફર્યા હતા. તાજેતરમાં તેમણે પતિ પાસે પાણીના કનેક્શન માટે પૈસા માગ્યા તો કાલીયાએ તેમને મારા પાસે પૈસા ન માગવા તેમ કહીને અપશબ્દો કહ્યા હતા અને ગડદાપાટુના માર ઉપરાંત નજીક પડેલી ઈંટ વડે માથા પર વાર કરીને લોહી કાઢ્યું હતું.
ઘાટલોડિયામાં 15 લાખના દહેજની માગણી ન સંતોષાતા પતિએ માર મારી કાઢી મૂકી
બી-51, સીપી નગર વિભાગ-2, ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા 38 વર્ષીય મિનલબેન પટેલે પોતાના પતિ સચીન વિનોદચંદ્ર પટેલ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2016ના અંતમાં તેમના લગ્ન પાટણ ખાતે રેલવેના બીજા ગરનાળા પાસે 14-રામપાર્ક સોસાયટીમાં રહેતા સચીન પટેલ સાથે થયા હતા. તેમને લગ્ન દરમિયાન કોઈ સંતાન નથી. લગ્નના 10-12 દિવસ બાદ સાસરીયાઓ તેમને ખર્ચાના રૂપિયા આપવાની ના પાડીને જાતે કમાઈને જાતે ખાવા કહી દીધું હતું. તેમના સાસુ-સસરા તેમને નણંદની ચઢામણીથી અપશબ્દો કહીને અપમાનીત કરતા અને માર મારતા હતા. તેમના નણંદ પણ ભીખારીની છોકરી ક્યાંથી લાવ્યા, પાંચ જોડી સારા ગાભા પણ નથી લાવી, ઘરને શોભે તેવું કરિયાવર પણ નથી લાવી વગેરે કહીને ત્રાસ આપતા હતા. આ ઉપરાંત તેઓ દ્વારા 15 લાખ રૂપિયાની સતત માગણી પણ કરવામાં આવતી હતી. 2017ના જાન્યુઆરી મહિનામાં મિનલબેનના ભાઈ, પિતા વગેરે તેમના સાસરે આવીને 5 લાખ રૂપિયા આપી ગયા હતા. પરંતુ એકાદ મહિના બાદ પતિએ કારણ વગર મારઝૂડ કરીને 10 લાખ રૂપિયા લાવ તો જ ઘરમાં ઘૂસવા દઈશ તેમ કહીને કાઢી મુક્યા હતા.
ઘાટલોડિયાની મહિલાને પ્રેમ લગ્ન કરવાનું ભારે પડ્યું, લગ્નના ચાર મહિનામાં જ પતિએ કાઢી મૂકી
ત્રીજા કિસ્સામાં શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં નિર્માણ ટાવરની સામે બી-28 દેવસિટી બંગલોમાં રહેતા 19 વર્ષીય જાનવીબેને પોતાના પતિ અક્ષય અમરસિંહિ ઝાલા અને અન્ય સાસરિયાઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.
જાનવીએ તા. 20-09-2021ના રોજ પોતાના પરિવારને જાણ કર્યા વગર જ અક્ષય સાથે પ્રેમ લગ્ન કરી લીધા હતા અને તેના એકાદ મહિના બાદ અક્ષયના ઘરે રહેવા જતી રહી હતી. જોકે લગ્ન બાદ અક્ષયે પરિવારના કોઈ સદસ્ય સાથે વાત કરવાને લઈ ચારિત્ર્ય પર શંકા કરી હતી અને અપશબ્દો કહીને મારઝૂડ કરી હતી. અક્ષયના સંયુક્ત પરિવારે પણ તેનો સાથ આપ્યો હતો.
અક્ષયના માતા-પિતા ઉપરાંત ભાઈ અનિલ પણ તેના ચારિત્ર્ય પર શંકા રાખીને તેના સાથે મારઝૂડ કરતો હતો અને તેને જો ઘર છોડશે તો મારી નાખશે તેવી ધમકી આપવામાં આવી હતી. ત્યાર બાદ તાજેતરમાં તેને ઘરમાંથી કાઢી મુકવામાં આવતા પોતાની મમ્મી અને કાકા-કાકી સાથે મળીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
[ad_2]
Source link






