[ad_1]

– એક લોખંડ કટિંગના ડેલામાં પણ આગને કારણે નુકશાન
– અલંગ, ભાવનગર અને તળાજાની ફાયર ટીમોએ કલાકોની જહેમતના અંતે આગ પર કાબુ મેળવ્યો
અલંગ-સોસિયા જહાજવાડામાં અંતિમ સફરે આવતા જહાજમાંથી નીકળતા ફનચરની ખરીદી કરી નવા રંગરૂપ આપી કઠવા ગામે વેપાર કરતા વલ્લભભાઈ ધરમશીભાઈ મકવાણા (રહે, મુળ દકાના, હાલ કઠવા), અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, ધરમશીભાઈ ઓઘડભાઈ ઢાપા (રહે, સોસિયા) અને શૈલેષભાઈ ખરકના ફર્નિચર તેમજ થર્મોકોલના પ્લોટમાં આજે સવારે લગભગ નવેક વાગ્યાના અરસામાં કોઈ કારણ સબબ આગ લાગી હતી.
જોતજોતમાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આગની ચપેટમાં આવેલો લાખો રૂપિયાની કિંમતનો ફર્નિચરનો સામાન, તૈયાર ફર્નિચર અને થર્મોકોલ બળીને ભસ્મીભૂત થઈ ગયા હતા. આ ઉપરાંત બાજુમાં આવેલા એક લોખંડ કટિંગના પ્લોટમાં પણ આગે લાગી હતી. જે બનાવની જાણ થતાં જ તળાજા, ભાવનગર અને અલંગ ફાયર બ્રિગેડની ટીમોએ ફાયર ફાઈટર, ટેન્કરો સાથે પહોંચી જઈ કલાકો સુધી પાણીનો મારો ચલાવી આગ હોલવી નાંખી હતી. આગ લાગવાનું કારણ કે નુકશાની જાણવા મળી શકી ન હોવાનું ભાવનગર ફાયર વિભાગે જણાવ્યું હતું.
વધુમાં પ્લોટ નં.૩૮૫, ૩૨૦, ૨૩૧, ૧૪૩૦ સહિતના પ્લોટમાં લાગેલી આગના કિસ્સામાં આક્ષેપ-પ્રત્યાક્ષેપો પણ થયા હતા. ફર્નિચરનો પ્લોટ ધરાવતા વલ્લભભાઈ મકવાણા અને અશોકભાઈ મકવાણાએ બાજુમાં આવેલા મહેતા ટ્રેડીંગના પ્લોટ નં.૩૨૦માં લોખંડ કટિંગનું કામ ચાલતું હોય, જેના કારણે તણખલો ઉડતા આગ લાગ્યાનું કારણ દર્શાવ્યું હતું. બીજી તરફ મહેતા ટ્રેડીંગના માલિક વિરેશન્દર્ભાઈ રજનીભાઈ (રહે, ભાવનગર)એ જે સમયે આગ લાગી ત્યારે પોતાના પ્લોટમાં કટિંગનું કામ બંધ હોય, તણખલો ઉડવાની વાતને નકારી પોતાના પ્લોટમાં પણ દિવાલ અને વાયરિંગને નુકશાન થયાની કેફિયત આપી હતી.
આગની ઘટના અંગે અલંગ પીઆઈએ આગની શરૂઆત કયાંથી થઈ અને કઈ રીતે લાગી તેની સાચી માહિતી એફએસએલની તપાસ બાદ જ ખબર પડશે તેમ જણાવ્યું હતું.
ફોમના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનો અંદાજ
અલંગ નજીકના કઠવા ગામે આજે રવિવારે ભંગારના ખાડા (પ્લોટ)માં વિકરાળ આગ લાગી હતી. આગ વધુ ફેલાવાના કારણમાં ફનચરના પ્લોટમાં ફોમ હોય છે. આ ફોમ પેટ્રોલ જેવું જ્વલનશીલ પ્રવાહીનું કામ કરતું હોય, તેના કારણે આગે જોતજોતમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગે ચારથી પાંચ પ્લોટને ચપેટમાં લેતા બે-ચાર કિ.મી. સુધી કાળાડિબાંગ ધૂમાડા નીકળતા હોવાનું જોવા મળ્યું હતું.
[ad_2]
Source link






